આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુસીબતો ઓછી થતી જણાતી નથી. તાજેતરમાં અમાનુલ્લા ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. EDએ ધારાસભ્યને સમન્સ પાઠવ્યા હતા. ધારાસભ્ય અમાનતુલ્લા ખાને આ સમન્સ ફગાવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
હાઈકોર્ટે તાજેતરમાં ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સ પર રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ AAP ધારાસભ્યએ રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. શુક્રવારે (1 માર્ચ)ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અરજીની સુનાવણી થઈ હતી. પરંતુ આ અરજી સાથે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. EDએ કોર્ટને કહ્યું કે ધારાસભ્ય જામીન મળ્યા બાદ તપાસમાં સહકાર નહીં આપે. કોર્ટે ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.
ધારાસભ્યને ધરપકડનો છે ડર
અમાનતુલ્લા ખાન પોતાની ધરપકડથી ચિંતિત હતા. ધરપકડનો ડર વ્યક્ત કરીને અમાનતુલ્લા ખાને કોર્ટ પાસે આગોતરા જામીનની માંગણી કરી હતી. પરંતુ અહીં પણ રાહત મળી ન હતી. રાઉઝ એવન્યુ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન EDએ અમાનતુલ્લા ખાનની આગોતરા જામીનની માંગનો વિરોધ કર્યો હતો. EDએ કોર્ટને કહ્યું, જો કોર્ટ જામીન આપે છે, તો અમાનતુલ્લા તપાસમાં સહકાર ન આપે તેવી શક્યતા છે.
ધારાસભ્ય પર આ આરોપો લગાવવામાં આવ્યા છે
અમાનતુલ્લા ખાન, જે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા, તેમના પર ઘણા ગેરકાયદેસર ભરતી અને બોર્ડની મિલકતોને ખોટી રીતે લીઝ આપવાનો આરોપ છે. આ સાથે AAP ધારાસભ્ય પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે ઘણા નિયમો અને સરકારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. અમાનતુલ્લા ખાને નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી.


