નવી દિલ્હી. હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે કસ્ટડી દરમિયાન EDએ કેટલાક તથ્યો એકત્રિત કર્યા હશે, જેને તે સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરવા માંગે છે. આ તથ્યો આ અરજી માટે પણ મહત્વપૂર્ણ રહેશે. અમે EDને સાંભળ્યા વિના આ અંગે નિર્ણય લઈ શકીએ નહીં. કેસની આગામી સુનાવણી 3 એપ્રિલે થશે. સવારે હાઈકોર્ટે સીએમ કેજરીવાલ અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
ED તરફથી હાજર રહેલા ASJ રાજુએ મુખ્યમંત્રીને રાહત આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી વતી હાજર રહેલા વકીલોની ફોજ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. EDનું કહેવું છે કે ગોવાની ચૂંટણીને ફંડ આપવા માટે સીએમ કેજરીવાલે લિકર પોલિસીની મદદથી સાઉથ ગ્રુપને ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને ગોવાની ચૂંટણીમાં ઘણું ફંડ મળ્યું હતું. સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે એવું ન થઈ શકે કે કોઈ દિવસ તમે કહો કે અમે તમારી ધરપકડ કરવા માંગીએ છીએ, કારણ કે અમારી પાસે ધરપકડ કરવાનો અધિકાર છે. તેથી ધરપકડ કરવાની ઈચ્છા પૂરી કરવા અમે ધરપકડ કરી રહ્યા છીએ.


