રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે બહુ ઓછો સમય બાકી છે, તેથી તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડુંગરપુર જિલ્લાના સાગવાડામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે ભ્રષ્ટાચાર અને પેપર લીકના મુદ્દે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના આશ્રય હેઠળ પેપર લીક માફિયાઓએ રાજ્યના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે.
'રેડ ડાયરી'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, રેડ ડાયરીના પાનામાં ઘેરા સત્યના રહસ્યો છુપાયેલા છે. તેમણે કહ્યું કે મોદીની ગેરંટી કોંગ્રેસના તમામ ખોટા વચનો કરતા વધારે છે. શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ તેના દાયકાઓના શાસન દરમિયાન જે વિચારી પણ શકી ન હતી, તે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હાંસલ કરી છે. દેશના 80 કરોડ લોકોને મફત રાશન મળશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને બરખાસ્ત કરવામાં આવશે અને ભાજપની સરકાર પૂર્ણ બહુમતી સાથે આવશે.
ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહે પાલીના જૈતરનમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપે હંમેશા દેશની સંસ્કૃતિનું સન્માન કર્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જોધપુરમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી એક જાહેર સભાને સંબોધવા માટે ચુરુમાં છે.


