જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે મુસાફરોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે બસનો રજીસ્ટ્રેશન નંબર JK02CN-6555 છે. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. બટોટે-કિશ્તવાડ નેશનલ હાઈવે પર ત્રંગલ-અસાર પાસે બસ રસ્તા પરથી લપસી ગઈ અને 300 ફૂટ નીચે ખીણમાં પડી ગઈ. જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે કહ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.
સૂત્રોએ જણાવ્યું હતું કે ખૂબ ઊંચાઈએથી નીચે પડવાને કારણે બસને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો ઉપરાંત પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તેમણે કહ્યું કે કેટલાક ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. કેટલાક ઘાયલ મુસાફરોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.


