આણંદ : ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી,આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, અથાગ પરિશ્રમ અને આપના માતાપિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો. વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહી પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્શો તેમ પણ જણાવ્યુ હતું.
શ્રી નાયડુએ ગ્રામીણ વિકાસમાં ઈરમાના વિદ્યાર્થીઓની ભૂમિકા સમજાવતાં કહ્યું કે, દેશના ગ્રામીણ ક્ષેત્રના નાગરિકોના વિકાસ, સુપોષણ અને સ્થિર રોજગારને સુનિશ્ચિત કરવા ઈરમા એ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેમાં જોડાઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનું દાયિત્વ આપ સૌ યુવાઓનું છે. ૪૫ વર્ષથી દેશમાં ઈરમાએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે સંચાલકો તૈયાર કરવાનું ઉત્કૃષ્ઠ કાર્ય કર્યુ છે. આજે નવીન અને ક્રિયાત્મક વિચારધારા સાથે સમસ્યાના ઉકેલ શોધીને દેશના ગ્રામિણક્ષેત્રને વિકાસના પથ પર લાવી શકાયું છે તેમાં ઈરમાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે.
શ્રી નાયડુએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન, સહકારભાવ અને સિદ્ધાંતો સાથે કાર્ય કરનાર યુવા પેઢી જ મજબૂત અને સશક્ત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કમિશન માટે નહીં પણ દેશસેવાના મિશન સાથે કાર્ય કરવા જણાવ્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓને નવી ફેશન ને અનુસરવા કરતા પોતાની અંદર રહેલા સેવાકિય વિચારોના પેશન (જુસ્સા)ને અનુસરવા જણાવ્યુ હતું.
તેમણે મહાત્મા ગાંધીના અન્યોને સહાયરૂપ થવા અને અન્યોની સેવા કરવાના વિચારથી લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સુત્રને અપનાવી સંપોષિત વિકાસની વિચારધારાને આગળ વધારવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રમાણિકતા, ઈમાનદારી, પારદર્શિકતા અને શિસ્તબદ્ધતા જેવા મૂલ્યોને જીવનમાં હંમેશા પાલન કરવાની સલાહ આપી હતી.


