નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
રાજપીપળા : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં આગામી તા.૨૯મેથી ૧૨ જુન દરમિયાન દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ યોજાશે. આ અભિયાન માટે સમગ્ર દેશમાં કૃષિ વૈજ્ઞાનિકોની અંદાજે ૨૧૭૦ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક ટીમમાં ઓછામાં ઓછા ૪ વૈજ્ઞાનિકોનો સમાવેશ કરાશે. તેમની સાથે કૃષિ યુનિવર્સિટી, કોલેજો, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય કૃષિ વિભાગના કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, એફ.પી.એસ વગેરે સાથે મળીને જિલ્લાઓમાં જશે અને ત્યાંથી ગામડાઓમાં પહોંચ્યા પછી નજીકના ગામડાઓના ખેડૂતો સાથે સંવાદ કરશે.
કૃષિ વૈજ્ઞાનિકો-નિષ્ણાંતોની ટીમો જે સ્થળે જશે તે સ્થળની કૃષિ, આબોહવાની સ્થિતિ, જમીનમાં રહેલા પોષક તત્વોની હાજરી, કયા પોષક તત્વોનો અભાવ છે, ત્યાં કેટલું પાણી છે, કેટલો વરસાદ પડે છે, માટીની ગુણવત્તા, માટી આરોગ્ય કાર્ડમાં જમીનમાં કયા તત્વોનો અભાવ છે તેના આધારે જે-તે વિસ્તારમાં કયા પાક માટે કયા બીજ સારા રહેશે, કયો પાક સારો રહેશે તેના વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવશે. આ ટીમો વાવણીની પદ્ધતિ, કયુ અને કેટલું ખાતર ઉમેરવું અને જીવાતોનો હુમલો થાય તો તેનાથી બચવા માટે શું કરવું વગેરેની વૈજ્ઞાનિક તથ્યોના આધારે ખેડૂતોને માહિતી આપવામાં આવશે. આ એક નવીન, મહત્વપૂર્ણ, સર્જનાત્મક અભિયાન છે. જેમાં ખેડૂતો અને વિજ્ઞાન બંને સામેલ થશે. જેમાં આઈ.સી.એ.આર.ના ૭૩૧ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ૧૧૩ સંસ્થાઓના વૈજ્ઞાનિકો-નિષ્ણાતો સક્રિયપણે ભાગ લેશે. આ ઝુંબેશ સમગ્ર દેશના ૭૨૩ જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. અંદાજે ૨૧૭૦ ટીમો દ્વારા ૬૫ હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ખેડૂતો સાથે સીધો સંપર્ક થશે. જે દેશમાં કૃષિ નવીનતા અને જાગૃતિને નવી દિશા આપશે.
આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાના જુદા-જુદા ગામડાઓ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું તારીખ ૨૯ મે થી તારીખ ૧૨ જુન દરમિયાન આયોજન કરાશે. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે જઈને ખેડૂતોને આગામી ચોમાસું સિઝન માટે ખેતી અને પશુપાલન વિષયક સરકારની
વિવિધ યોજનાઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડી અભિયાનને સફળ બનાવશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.