AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ તથા કાર્યકારી મધ્ય ઝોન અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા દ્વારા આજે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન અંતર્ગત નવો નારો લોન્ચ કરવામાં આવ્યો. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતની જનતા મજબૂરીના કારણે ભાજપને મત આપતી આવી છે. વર્ષો સુધી સત્તામાં રહેવાથી ભાજપમાં એવુ અભિમાન અને અહંકાર આવી ગયો છે કે જાણે ગુજરાત એમના બાપનું રાજ્ય હોય. જ્યારે લોકશાહી વ્યવસ્થામાં અંતિમ સત્તા સંવિધાન મુજબ હંમેશા જનતાની હોય છે. જનતાથી મોટો કોઈ શાસક, કોઈ સરકાર કે કોઈ પાર્ટી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં બાપ-બેટાની જોડીઓ દ્વારા રાજ્યમાં દાદાગીરી અને શોષણ ચાલી રહ્યું છે. જ્યાં ભાજપના નેતાઓને જમીનની જરૂર પડે ત્યાં રાતોરાત બિલ્ડરો દોડાવવામાં આવે છે, ગરીબ લોકોના ધંધા બરબાદ કરવામાં આવે છે. અનેક જગ્યાએ ભાજપના નેતાઓના પુત્રો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમ કે મનરેગા કૌભાંડ, ડ્રગ્સ, દારૂ, સરકારી કોન્ટ્રાક્ટમાં કટકી, તોડબાજી અને મારામારી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના નેતાઓના દીકરાઓ વિચારતા હોય છે કે, “મારો બાપ ભાજપમાં છે, મને કંઈ નહીં થાય”, આવી માનસિકતાએ ગુજરાતને નુકસાન પહોંચાડ્યું છે. ગામથી લઈને રાજ્ય સરકાર સુધી ભાજપની બાપ-બેટાની જોડીઓથી જનતા પરેશાન છે. આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીનો નવો નારો છે – “ના બેટાનું, ના બાપનું…ગુજરાત હવે આપનું.” ગુજરાત છે આપનું મતલબ કે ગુજરાત છે સામાન્ય જનતાનું. નવા નારા દ્વારા પાર્ટી ગુજરાતની જનતાને યાદ અપાવવાનું કામ કરશે કે ગુજરાત કોઈ રાજકીય વારસદારોનું નથી, પરંતુ ગુજરાત છે કરોડો મહેનતુ લોકોનું, ખેડૂતોનું, શ્રમિકોનું, યુવાનોનું, મહિલાઓનું અને વંચિત વર્ગોનું. આ નારા સાથે આમ આદમી પાર્ટી રાજ્યભરમાં ઘર-ઘર, ગલી-મહોલ્લા અને દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે એક વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂ કરી રહી છે. પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સામાન્ય અને સાદા પરિવારોમાંથી આવનારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતની જનતા આશીર્વાદ આપશે અને બાપ-બેટાની રાજનીતિને ખતમ કરી સાચું સ્વરાજ સ્થાપિત કરવા માટે સહયોગ આપશે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે પણ ડિમોલેશનની ઘટના બની રહી એ મુદ્દે હું ફરીથી એ જ કહીશ કે જ્યારે પણ ભાજપના નેતાને કોઈ જમીન ગમી જાય છે, તો રાતોરાત ત્યાં બુલડોઝર આવી જાય છે, એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાત ભાજપના બાપનું કે ભાજપના નેતાઓના બાપનું નથી. ભાજપના નેતાઓને અમદાવાદના વટવા, રાણીપની જમીન ગમી તો ત્યાં બુલડોઝર આવી ગયા. ભાજપના નેતાઓ, કલેક્ટરો, પોલીસ આવીને જમીન ખાલી કરાવે છે, એ હવે નહીં ચાલે. મોટેરા પાસે 50 વર્ષથી રહેતા લોકોના ઘર ઉજાડી દેવામાં આવ્યા, આ સિવાય સાણંદ અને SG હાઇવે પર સરકારના ડ્રીમ પ્રોજેક્ટના નામે જેસીબી ચાલે છે, રાજકોટના જંગલેશ્વરમાં, સોમનાથ મંદિરની આસપાસ જેસીબી ચાલે છે, એવી જ રીતે સુરતમાં પણ જેસીબી ચાલે છે. જ્યારે સામાન્ય માણસ કોર્ટમાં જાય છે તો ત્યાં એ જ સમસ્યા છે કે વર્ષો સુધી કેસ ચાલે છે. મારું માનવું છે કે જનતાની અદાલતમાં જે ઝડપથી ચુકાદો આવશે એવો ચુકાદો સરકારની અદાલતમાં નહીં આવે. જનતાની અદાલતમાં પીડિતોના પક્ષમાં ન્યાય થાય છે. લોકોની આત્મા જ્યારે જાગશે અને ન્યાય થશે ત્યારે ભાજપ પોતાનું મોઢું નહીં બતાવી શકે. અમે આ તમામ પીડિત લોકોની સાથે છીએ ચાહે કોઈ લીગલ લડાઈ હોય કે કોઈ સડકની લડાઈ હોય, અમે દરેક જગ્યા પર પીડિત લોકોની સાથે છીએ.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.