ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં
કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે.
અમદાવાદ : કોળી સમાજના એક યુવાન પર થયેલા અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગતરોજ રાત્રે ફેસબૂક લાઈવના માધ્યમથી કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. એક IPS અધિકારી દ્વારા એક કોળી સમાજના યુવાન પર આ પ્રકારનો બેરહેમ અત્યાચાર કરવામાં આવ્યો છે કે આજે આખું ગુજરાત હચમચી ગયું છે, આ ઘટના ખૂબ જ નિંદનીય અને શરમજનક ઘટના છે. ગુજરાતની બહારથી આવેલા એક અધિકારીએ ગુજરાતના દીકરા પર અત્યંત નિર્દયતાપૂર્વક માર મારીને ખૂબ જ અત્યાચાર કર્યો છે. માહિતી અનુસાર યુવાનને ઊંધો લટકાવીને પટ્ટાથી માર મારવામાં આવ્યો અને તેના કમરથી નીચેના ભાગમાં બેરહેમીપૂર્વક વર્તન કરવામાં આવ્યું. આવી ઘટનાઓ લોકશાહી અને કાયદાની વ્યવસ્થાને પડકારતી હોય છે. ઈસુદાન ગઢવીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધી અપીલ કરતા કહ્યું હતું કે જો ખરેખર સરકારમાં તાકાત હોય તો આ IPS અધિકારી સામે તરત જ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. કોઈ પણ અધિકારીને ગરીબ અને સામાન્ય લોકો પર અત્યાચાર કરવાનો અધિકાર નથી.
AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આ પીડિત યુવાન સાથે મજબૂત રીતે ઉભી છે અને તેને ન્યાય અપાવવા માટે જે પણ કરવું પડશે તે AAP કરશે. ફેસબુક લાઈવના માધ્યમથી ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે જો આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકોનો વિશ્વાસ કાયદા વ્યવસ્થાથી ઉઠી જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર હોત તો 24 કલાકની અંદર આ IPS અધિકારીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હોત. કાયદા કરતા કોઈ મોટું નથી અને સત્તાનો દુરુપયોગ કરનારને કડક સજા મળવી જ જોઈએ. ઈસુદાન ગઢવીએ સંબંધિત IPS અધિકારીને ચેલેન્જ આપતા કહ્યું હતું કે જેનો સંપર્ક કરવો હોય કરો, પરંતુ આ અન્યાય બદલ અમે તમને છોડીશું નહીં અને પાતાળમાંથી પણ શોધીને સજા અપાવીશું. પીડિત યુવાનને ન્યાય અપાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે અને દોષિતને કાયદેસરની કડક સજા અપાવવામાં આવે એવી અમે અર્થ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગ કરીએ છીએ. તેમણે અંતમાં કહ્યું હતું કે 2027માં ગુજરાતમાં સરકાર બદલાતા જ આવા અધિકારીઓ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એવી સજા આપવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ પણ IPS, PSI, PI અથવા કોન્સ્ટેબલ ગરીબ અને સામાન્ય લોકો પર અત્યાચાર કરતા પહેલા સો વાર વિચારશે.
અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો.