પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એક વીડિયો સંદેશ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારના ડરે ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં AAPના 160 થી વધુ કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. પ્રવીણ રામે ભાવુક થઈને જણાવ્યું કે ભાજપે એક દિવ્યાંગ કાર્યકર્તા પર હુમલો કરાવી તેના પર જ ગંભીર કલમો લગાવી જેલમાં નાખ્યો છે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તાજેતરમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને આ ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ડર ફેલાઈ ગયો છે કે જનતા મત નહીં આપે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને લોકોને વધુ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા અને તોડવા માટે અત્યાચાર અને ગંદી રાજનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ, પરંતુ ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે અને પોતાની સત્તા ટકાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના ૧૬૦થી વધુ કાર્યકરો અને નેતાઓ પર ખોટા કેસો કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, માત્ર એટલા માટે કે તેઓ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે અને જનતાનો આશીર્વાદ મેળવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે ડરવાના નથી, અમે ઝુકવાના નથી, પરંતુ આ હકીકત ગુજરાતની જનતા સુધી પહોંચવી જરૂરી છે.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પોરબંદર, જામનગર અને ખંભાળિયામાં ગંભીર ઘટનાઓ બની છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ કરીને એક્ટિવા લઈને લોકો આવે છે, વાહનોને ટકરાવે છે, ઝગડા કરે છે, ગાડીના કાચ તોડી નાખે છે અને મારપીટ કરે છે. ત્યારબાદ જ્યારે કાર્યકરો ન્યાય માટે પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે ફરિયાદ લેવાની બદલે તેમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને તેમની સામે એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી ગંભીર કલમો લગાવવામાં આવે છે. એક દિવ્યાંગ વ્યક્તિને પણ માર મારીને ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નથી અને તેના પર જ કેસ કરવામાં આવ્યો છે, જેને તેમણે હિટલરશાહીની પરાકાષ્ઠા ગણાવી. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.અત્યાચાર છતાં પાર્ટી ડગવાની નથી અને લડત ચાલુ રાખશે. ભાજપને ખુલ્લો પડકાર આપતા તેમણે કહ્યું કે મેદાનમાં આવી લડે, અમે તૈયાર છીએ, ડરવાના નથી. પોલીસને પણ ભાજપના દબાણમાં કામ ન કરવાની અપીલ કરી. અંતમાં તેમણે ગુજરાતની જનતાને આવનારી ચૂંટણીઓમાં આ અત્યાચારનો જડબાતોડ જવાબ આપવા અપીલ કરી અને કહ્યું કે પથ્થરો ફેંકાશે તો પણ અમે તેને પગથિયા બનાવી આગળ વધતા રહીશું, પરંતુ અમને જનતાના આશીર્વાદની જરૂર છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
સુરતમાં AAP નેતા મનોજ સોરઠિયાએ ભાજપ સરકાર પર ૧૬૦ કાર્યકરોને ખોટી FIR દ્વારા નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ડ્રગ્સ, દારૂ અને પોલીસ દમન મુદ્દે સરકારને ઘેરી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતમાં આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં AAPના કાર્યકરો અને નેતાઓ પર 45 જેટલી ખોટી FIR કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ પોતાની ઘટતી લોકપ્રિયતાથી ગભરાઈને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને જનતાના મુદ્દા ઉઠાવનારા 160 થી વધુ કાર્યકરોને જેલમાં નાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.