રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો
આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો. યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી.
રાજપીપલા : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પંચાયત નર્મદાની આયુર્વેદ શાખા દ્વારા
રાજપીપલા શહેરમાં સ્વામીનારાયણ મંદિર સંકુલ, સંતોષ ચાર રસ્તા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળાએ આયુષ મેળાની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે. રાજપીપલા ખાતે આયોજિત આ આયુષ મેળો જિલ્લા તથા શહેરના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આયુર્વેદ શાખા દ્વારા કોરોના કાળ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળા, સંશમની વટી તેમજ ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓને આયુષ-૬૪ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં નર્મદા જિલ્લામાં આયુર્વેદ શાખા અંતર્ગત કાર્યરત આયુષ દવાખાનાઓ દ્વારા રોજિંદા નાગરિકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગાભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ આયુષ મેળાનો લાભ નાગરિકો બહોળી સંખ્યામાં લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાયરોઇડ,
સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોના રોગો તેમજ પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય તથા અગ્નિકર્મ વિષયક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા હેઠળ જિલ્લામાં કુલ ૧૮ દવાખાનાઓ કાર્યરત છે, જેમાંથી ૧૬ આયુર્વેદ દવાખાનાઓ તથા ૦૨ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આ પૈકી ૦૯ દવાખાનાઓ નેશનલ આયુષ મિશન અંતર્ગત ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત છે. આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં વિવિધ રોગોનું નિદાન કરીને આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે. દવાખાનામાં નિયુક્ત મેડિકલ ઓફિસરો દ્વારા આંગણવાડી તથા શાળાઓની મુલાકાત લઈ બાળકોની તપાસ કરવામાં આવી, તેમજ આહાર-વિહાર અને પોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. માયાબેન ચૌધરી, વૈદ્ય પંચકર્મશ્રી ડૉ. યોગેશ વસાવા, સ્વામીનારાયણ સંસ્થાનના ડૉ. પ્રશાંત પટેલ સહિત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડો ક્વાન્ટમ સમિટ ગુજરાત 2026: PDEU ગાંધીનગરમાં ભવ્ય ઉદ્ઘાટન – પ્રોફ. એસ. સુંદર મનોહરણનું ભાષણ (મેગ્નેટોરેઝિસ્ટન્સ), ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર રાઉન્ડ ટેબલ ચર્ચા. 300+ નિષ્ણાતો, ISRO, IBMની ઉપસ્થિતિ. વિગતો અને હાઇલાઇટ્સ અહીં વાંચો.
ગુજરાતે દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન આપીને ટોપ પર પહોંચ્યું છે. 42.583 GW ક્ષમતા, 11 લાખ+ રૂફટોપ સોલાર (6412 MW), પવનમાં પણ નંબર 1. 2030માં 105 GW લક્ષ્ય અને 2.37 લાખ નોકરીઓ. વિગતો અહીં વાંચો.
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. જાણો ભુજ અને ઝખૌ પોર્ટ જવા માટેના નવા વૈકલ્પિક રૂટ.