ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન
ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પરિશ્રમ અને પ્રાકૃતિક ખેતી પર પ્રેરણાદાયી સંબોધન, 40,245 વિદ્યાર્થીઓને પદવી.
ગુજરાત યુનિવર્સિટીના ૭૪મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતાનો કોઈ 'શોર્ટકટ' નથી, પરિશ્રમ જ એકમાત્ર રસ્તો છે. તેમણે સ્વામી વિવેકાનંદના 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'ના સૂત્રને યાદ અપાવીને કહ્યું કે, આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. બુદ્ધિપૂર્વક અને ખંતથી કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી.
કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ૪૦,૨૪૫ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ખાસ તૈયાર કરાયેલ 'કોફી ટેબલ બુક'નું વિમોચન કરવામાં આવ્યું અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બે સ્ટાર્ટઅપ અને એક ખેલાડીને 'ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ માત્ર પદવી મેળવવાનો દિવસ નથી, પરંતુ ગુરુ, શિષ્ય અને વાલીના ત્રિવેણી સંગમનો પવિત્ર ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો 'માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ'ને જીવનમાં આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, જે માતા-પિતા પોતે અભાવો વેઠીને પણ સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવે છે, તેમના પ્રત્યે આદર અને સમર્પણનો ભાવ એ જ સાચી દીક્ષા છે.
રાજ્યપાલશ્રીએ ગુજરાતની ભૂમિની વિશેષતા વર્ણવતા કહ્યું હતું કે, આ ધરતીએ હંમેશાં રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપનાર મહાન પ્રતિભાઓ આપી છે. સ્વામી દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓએ આ ધરતી પરથી દેશનું નેતૃત્વ કર્યું છે. આજે એ જ પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગળ ધપાવી રહ્યા છે, જેમણે દેશને આશા અને પ્રગતિના નવા શિખરો પર પહોંચાડ્યો છે. યુવાનો નસીબદાર છે કે તેઓ એવા સમયમાં કાર્યક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને મક્કમ નિર્ધારનું પરિણામ છે, જેમાંથી યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ.
વર્તમાન સમયની સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુવા પેઢીને ચેતવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતી અને જંક ફૂડને કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે. ૨૦-૨૦ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગો જોવા મળે છે તે દેશ માટે ચિંતાનો વિષય છે. તેમણે વિદ્યાર્થીઓને શુદ્ધ આહાર અને 'પ્રાકૃતિક ખેતી'ના અભિયાનમાં જોડાઈને સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જો યુવાનો સ્વસ્થ રહેશે, તો જ તેઓ રાષ્ટ્રના ઉત્થાનમાં લાંબા ગાળા સુધી યોગદાન આપી શકશે.
પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક અસરોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે દુનિયા આબોહવા પરિવર્તનના ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે પદવી મેળવીને સમાજમાં જઈ રહેલા જવાબદાર યુવાનોની ફરજ છે કે તેઓ પર્યાવરણના રક્ષણ માટે સક્રિય બને. શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજની સમસ્યાઓના ઉકેલ લાવવાની શક્તિ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર 'નોકરી શોધનારા' બનવાને બદલે 'નોકરી આપનારા' એટલે કે ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ તમામ સુવર્ણચંદ્રક વિજેતાઓ અને પદવીધારક વિદ્યાર્થીઓને ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. દીક્ષાંત સમારોહમાં ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી જ્ઞાનનું એવું પવિત્ર ધામ છે જેણે દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈ જેવાં દિગ્ગજ રત્નો આપ્યાં છે.
ઇન્ડો ક્વાન્ટમ સમિટ ગુજરાત 2026: PDEU ગાંધીનગરમાં ભવ્ય ઉદ્ઘાટન – પ્રોફ. એસ. સુંદર મનોહરણનું ભાષણ (મેગ્નેટોરેઝિસ્ટન્સ), ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર રાઉન્ડ ટેબલ ચર્ચા. 300+ નિષ્ણાતો, ISRO, IBMની ઉપસ્થિતિ. વિગતો અને હાઇલાઇટ્સ અહીં વાંચો.
ગુજરાતે દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન આપીને ટોપ પર પહોંચ્યું છે. 42.583 GW ક્ષમતા, 11 લાખ+ રૂફટોપ સોલાર (6412 MW), પવનમાં પણ નંબર 1. 2030માં 105 GW લક્ષ્ય અને 2.37 લાખ નોકરીઓ. વિગતો અહીં વાંચો.
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. જાણો ભુજ અને ઝખૌ પોર્ટ જવા માટેના નવા વૈકલ્પિક રૂટ.