શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા
ગુજરાતમાં શેરડી પાકમાં રોગ અને જીવાતથી બચાવવા ખેતી નિયામકશ્રીની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી! બિયારણ પસંદગી, જમીન તૈયારી, ફૂગનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણના સરળ પગલાં – સુકારા, રાતડા, ચાબુક રોગથી બચાવો. ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટિપ્સ – વિગતો જુઓ.
પાકમાં રોગ–જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત શેરડીના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે લેવાના વિવિધ પગલાં અંગે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર શેરડીની વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરી રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઇએ. ઉનાળામાં જમીનની ઊંડી ખેડ કરી જમીનમાં રહેલા રોગકારકોને સૂર્યપ્રકાશના તાપથી નષ્ટ કરવા જરૂરી છે. ત્યારબાદ ત્રિસ્તરીય પદ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરવામાં આવેલા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ.
બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાનને ૨ ગ્રામ પ્રતિ લિટર અથવા કાર્બેન્ડીઝમ ૧ ગ્રામ પ્રતિ લિટરના દ્રાવણમાં ૫ થી ૧૦ મિનિટ સુધી બોળી પછી વાવેતર કરવું જોઈએ.
શેરડી પકવતા ખેડૂતોએ વધુ પડતું પિયત કે પાણીની ખેંચ ટાળવી તેમજ વધુ નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ. જમીનની જૈવિક પ્રક્રિયાઓ સક્રિય રાખવા માટે શણ અથવા ઇક્કડ જેવા લીલા પડવાશનો સમાવેશ કરવો તથા સુગર ફેક્ટરીઓ દ્વારા તૈયાર થતો એનરિચ બાયોકમ્પોસ્ટ ઉપયોગમાં લેવો જોઇએ.
આ ઉપરાંત સુકારા, રાતડા અને ટુકડાના સડા જેવા જમીનજન્ય રોગોના રોગકારકો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી લાંબા ગાળાની પાક ફેરબદલી અપનાવવી જરૂરી છે. આવી અસરગ્રસ્ત જમીનમાં ડાંગરના બે પાક - ઉનાળુ અને ચોમાસુ તથા લીલો પડવાશ - ઇક્કડ કરી ત્યારબાદ ફરી શેરડીનું વાવેતર કરવું જોઇએ. સુકારા અને રાતડા રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમને પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરના દરથી ચાસમાં આપવા માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યા અનુસાર, શેરડીના ઉભા પાકમાં રોગની શરૂઆત જણાય તો રોગગ્રસ્ત ખેતરમાં લામપાક રાખવો નહીં અને તેમાંથી બિયારણ ન લેવું. શક્ય હોય તો રોગગ્રસ્ત શેરડીની વહેલી કાપણી કરવી જોઇએ. રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી જવા દેવું નહીં. રોગગ્રસ્ત આખા ઉભા પાકમાં ફૂગનાશક દવાનો ઉપયોગ બિનઅસરકારક અને ખર્ચાળ હોવાથી તેની ભલામણ કરવામાં આવતી નથી.
સુકારો, રાતડો અથવા ટુકડાના સડાનો ઉપદ્રવ જણાય તો રોગગ્રસ્ત જડીયાને મૂળ સાથે ઉખાડી નાશ કરી તે સ્થળે કાર્બેન્ડીઝમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણ બનાવી રેડવું જોઈએ. આ ઉપરાંત ચાબુક, આંજીયો રોગ જણાય તો ચાબુક પરનું ચળકતું આવરણ તૂટે તે પહેલાં જ અસરગ્રસ્ત જડીયાને ઉખાડી બાળી નાશ કરવો, કારણ કે પડ તૂટ્યા પછી બીજાણુઓ હવા અને કીટકો મારફતે ફેલાય છે. ચટાપટા, ઘાસીયા જડા અને લામવામતા જેવા વિષાણુજન્ય રોગોમાં રોગગ્રસ્ત છોડ દૂર કરી શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ગેરૂ, પાનના ટપકાં અથવા ઝાળ રોગ જણાય તો મેન્કોઝેબ ૨ ગ્રામ પ્રતિ લિટરના દ્રાવણનો છંટકાવ કરવો જોઇએ.
આ દવાઓના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ. વધુ વિગતો મેળવવા રાજ્યના ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક- વિસ્તરણ, નાયબ ખેતી નિયામક-તાલીમનો સંપર્ક કરવા ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ! DRM વેદ પ્રકાશ અને ડૉ. મનોજ કુમાર દેવે તણાવ, ડિપ્રેશન, કાર્ય-જીવન સંતુલન અને સારવારની જરૂરિયાત પર વાત કરી. કર્મચારીઓને કસરત, આહાર અને વાતચીતની સલાહ – પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહી ભાગીદારી. વિગતો જુઓ.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
ગુજરાતની ખમીરવંતી ધરતી પર જન્મેલા અને અમેરીકામાં વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયેલા ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.