સહિયારા પ્રયાસોથી ગુજરાતને પ્રાકૃતિક ખેતી, ગોપાલન અને ગાયની નસલ સુધારણામાં 'રોલ મોડલ' બનાવીએ : રાજ્યપાલ
ગૌશાળાઓ-પાંજરાપોળના સંચાલકોને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત-ઘન જીવામૃતનું ઉત્પાદન કરવા, દેશી ગાયની નસલ સુધારવા મિશનની
માફક કામ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી યોગ્ય ગુણવત્તાવાળા જીવામૃત અને ઘન જીવામૃતનું ખેડૂતોની માંગ પ્રમાણે ઉત્પાદન કરવા તથા દેશી ગાયની નસલ સુધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતને પ્રાકૃતિક ખેતી, ગોપાલન અને ગાયની નસલ સુધારણામાં સમગ્ર દેશ માટે રોલ મોડલ બનાવવું છે.
ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો તથા વ્યવસ્થાપકોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગૌશાળાઓમાં-પાંજરાપોળમાં અત્યાર સુધી ગાયના સંરક્ષણનું કામ થયું, હવે સાથોસાથ સંવર્ધનની પણ આવશ્યકતા છે. ગાયને વાછરડી જ જન્મે એ માટે સેક્સ શોર્ટેડ સિમેન ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સેક્સ શોર્ટેડ સિમેનથી ગૌધનમાં બમણી ઝડપે વૃદ્ધિ થશે અને ગાયની નસલ પણ ઊંચી જશે. ગૌશાળાઓ ઉન્નત બ્રીડ બનાવે અને મોટા પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાવાળું જીવામૃત અને ઘન જીવામૃત બનાવે તથા ખેડૂતોને ઉપલબ્ધ કરાવે તો ગૌશાળા પાંજરાપોળની આવક પણ વધશે અને પ્રાકૃતિક ખેતીમાં બહુ મોટું યોગદાન આપી શકાશે.
પ્રાકૃતિક ખેતી શુદ્ધ દેશી ગાય પર આધારિત ખેતી છે. ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણું હોય છે. ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગાયનું પાલન અને સંવર્ધન કરો. ગાય બચશે તો દેશ બચશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર રૂપિયા ૯૦૦ નિભાવ ખર્ચ તરીકે આપે છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે દેશ માટે રૂપિયા ૧૪૦૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. સરકારના પ્રયાસોમાં સમાજ પણ સહયોગી થાય એ માટે તેમણે અપીલ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના શુભારંભે રાજ્યના સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયાએ કહ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને ઝેરમુક્ત કરવા પ્રાકૃતિક ખેતીનું અભિયાન એવા સમર્પિત ભાવથી આદર્યું છે કે, ગાંધીનગરનું રાજ ભવન અમને ખેડૂત ભવન લાગી રહ્યું છે.
આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તો ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરશે. આ પરિસંવાદમાં કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી, પશુ કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી દિલીપભાઈ શાહ, પ્રાકૃતિક કૃષિના પ્રચારક શ્રી નરેન્દ્રભાઈ રીબડીયા તથા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."