નર્મદા જિલ્લામાં ફૂલોની પ્રાકૃતિક ખેતી: ખેડૂતોની નવી દિશા
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન – ખેડૂતો કિચન ગાર્ડન અને ફૂલોની ખેતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે.
રાજપીપલા: ખેતી એટલે માત્ર પાક ઉત્પાદન જ નહીં, પરંતુ પેઢીઓથી ચાલતો જીવન સંસ્કાર છે. આજે જ્યારે રસાયણિક ખેતીના દુષ્પરિણામો આરોગ્ય અને પર્યાવરણ પર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે,
ત્યારે પ્રાકૃતિક કૃષિ એ ફરીથી કુદરત સાથે સુમેળમાં જીવવાની દિશા બતાવી રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન નવી ચેતના સાથે આગળ વધી રહ્યું છે, નર્મદા જિલ્લામાં આ અભિયાન ઘરઆંગણે કિચન ગાર્ડન અને ફૂલોની ખેતી દ્વારા નાગરિકોના જનજીવનમાં અસરકારક પરિવર્તન લાવી રહ્યું છે.
શરૂઆતમાં મુખ્યત્વે ખેતર અને પાક કેન્દ્રિત રહેલું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ખેડૂતોના ઘરના આંગણાં સુધી પહોંચ્યું છે. નર્મદા જિલ્લાના અનેક ખેડૂતોએ હવે પોતાના વાડામાં નાનું કિચન ગાર્ડન વિકસાવ્યું છે, જ્યાં ટામેટાં, ભીંડા, રીંગણ, મરચાં, ડૂંગળી, લસણ, દૂધી, મેથી અને કોથમીર જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. રસાયણમુક્ત ખેતીથી ઉગાડેલી આ શાકભાજી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પરિવારના આરોગ્ય માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અભિયાન અમલમાં છે. સીઆરપી અને કૃષિ સખીઓ દ્વારા ગામે ગામ જઈ ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દેશી
બીજોના ઉપયોગ અને જમીનની સજીવતા જાળવવા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. તાલીમ માત્ર સિદ્ધાંત પૂરતી નથી; પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત દ્વારા અન્ય ખેડૂતોને નજરે જોવાની તક પણ આપવામાં આવે છે, જેનાથી વિશ્વાસ અને ઉત્સાહ બંનેમાં વધારો થાય છે.
પ્રાકૃતિક કૃષિનો લાભ હવે ફૂલોની ખેતીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘરમાં અને મંદિરમાં પૂજા માટે વપરાતા ગલગોટા, ગુલાબ, મોગરા, સેવંતી અને જાસૂદ જેવા ફૂલો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવાથી તેમની કુદરતી સુગંધ અને રંગત લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ઘણા ખેડૂતો માટે આ ખેતી આધ્યાત્મિક સંતોષ સાથે નાનું પરંતુ સ્થિર આવકનું સ્ત્રોત પણ બની રહી છે. તિલકવાડા તાલુકાના આમલિયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કાકડિયા ગામના ખેડૂત શ્રી માનસિગભાઈ અભાભાઈ ભીલ દ્વારા પોતાના ખેતરમાં ફૂલો ઉગાડી આ પ્રયાસને સાર્થક કર્યો છે.
કિચન ગાર્ડનથી પરિવારને દૈનિક તાજું અને સ્વચ્છ શાકભાજી મળે છે, જેના કારણે બજાર પરનો આધાર ઘટે છે. રસાયણમુક્ત આહારથી આરોગ્ય ખર્ચમાં ઘટાડો થાય છે અને પરિવારનું જીવનસ્તર ઉંચું આવે છે. સાથે સાથે વધારાની ઉપજ વેચીને ખેડૂતો વધારાની આવક પણ મેળવી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે.
પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિમાં ફેરફાર નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. જમીનની જીવંતતા જળવાઈ રહે છે, જળ પ્રદૂષણ ઘટે છે અને જીવ વૈવિધ્યમાં વધારો થાય છે. નર્મદા જિલ્લામાં ઘરઆંગણે થતી આ નાની શરૂઆત આવનારા સમયમાં વિશાળ હરિત ક્રાંતિનું રૂપ લઈ શકે છે. નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા કિચન ગાર્ડન અને ફૂલોની ખેતીમાં પ્રાકૃતિક કૃષિને આપવામાં આવતું પ્રાધાન્ય એ સાબિત કરે છે કે, પ્રાકૃતિક કૃષિ કોઈ વૈકલ્પિક માર્ગ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને ટકાઉ ભવિષ્ય માટેની અનિવાર્ય દિશા છે. કુદરત સાથે તાલમેલ સાધી કરાતી આ ખેતી પદ્ધતિ ઘરઆંગણાંને હરિયાળાં અને જીવનને સુગંધિત બનાવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.