રાજપીપલા: વડીયા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમ – કલેક્ટરે રાહવીર યોજનાની માહિતી આપી
રાજ્યભરમાં ચાલી રહેલા માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળામાં “સલામત ઉત્તરાયણ” થીમ હેઠળ ખાસ માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી અને પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગ સલામતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તેમજ સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ-૨૦૨૬ની ઉજવણી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજપીપલા એઆરટીઓ કચેરી દ્વારા નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળા ખાતે “સલામત ઉત્તરાયણ”ની થીમ સાથે માર્ગ સલામતી અને રાહવીર યોજનાની માહિતી આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી તથા પોલીસ અધિક્ષકશ્રી વિશાખા ડબરાલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન એઆરટીઓ કચેરી રાજપીપલા દ્વારા રાહવીર યોજનાની સમજ આપતા પતંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી સલામત ઉત્તરાયણ તેમજ માર્ગ સલામતીનો સંદેશ બાળકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. રાહવીર યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલી રાહવીર યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડનાર વ્યક્તિને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે.
કોઈપણ નાગરિક જો અકસ્માત સ્થળે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ સુધી પહોંચાડે તો તેને રૂપિયા ૨૫,૦૦૦/-નું રોકડ ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. આ યોજના હેઠળ મદદ કરનાર વ્યક્તિને કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે પોલીસ હેરાનગતિનો ભય રહેતો નથી. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે માનવતાના નાતે સમયસર મદદ કરવાથી અનેક કિંમતી જીવ બચાવી શકાય છે.
પોલીસ અધિક્ષકશ્રી વિશાખા ડબરાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ માથાની ઈજાના કારણે થાય છે, તેથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અત્યંત આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતા, ભાઈ-બહેન તથા આસપાસના નાગરિકોને હેલ્મેટનો નિયમિત ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવાની અપીલ કરી હતી. સાથે જ, ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી અકસ્માતો અટકાવી શકાય છે તે બાબતે ભાર મૂક્યો હતો.
એઆરટીઓ શ્રીમતી નિમિષાબેન પંચાલે વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, સ્પીડ મર્યાદા, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ સહિત માર્ગ સલામતીના નિયમોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકો આજથી જ માર્ગ સલામતીના દૂત બની પોતાના વાલીઓ અને સમાજ સુધી આ સંદેશ પહોંચાડે તે જરૂરી છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી કિરણભાઈ વસાવા, વડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી બિંદિયાબેન વસાવા, અગ્રણીશ્રી અજીતભાઈ પરીખ, તાલુકા શિક્ષણાધિકારીશ્રી, ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.