સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.
રાજપીપલા : ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રીશ્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી. શ્રી મૌર્યએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.
આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા ઉપ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે નર્મદા મૈયાના આશિર્વાદથી મને આ અદભૂત સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવીને વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમા દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા આદર્શ ઉદાહરણ છે. સરદાર પટેલ સાહેબના
વિચારધારા રાષ્ટ્રની એકતા પર કેન્દ્રિત હતી. દેશી રજવાડાઓને ભારતનો ભાગ બનાવીને દેશની એકતાને વધુ મજબુત બનાવી છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રાષ્ટ્રીય એકતાને કેન્દ્રસ્થાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે.
વધુમાં શ્રી કેશવપ્રસાદ મૌર્યએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના દ્રઢ સંકલ્પ શક્તિના પરિણામસ્વરૂપે તૈયાર થયેલા આ રાષ્ટ્રીય એકતાના તીર્થસ્થળ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકોએ મુલાકાત લેવી જોઈએ. અહીં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ છે. અહીંની સુવિધાઓ, સૌંદર્ય અને વિવિધ પ્રકલ્પોની મુલાકાત પણ લેવી જોઈએ.
નોંધનીય છે કે, શ્રી મૌર્યએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત, તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મને સરદાર સાહેબના દ્રઢ નેતૃત્વ અને એકતાના સંદેશને નજીકથી સમજવાનો મોકો મળ્યો છે.
ઉપ મુખ્યમંત્રીશ્રીએ ૪૫ માળની ઉંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા નદી, સરદાર સરોવર નર્મદા ડેમનો અદભૂત નજારો માણવા સાથે વિધ્યાંચલ અને સાતપુડાની ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (ઓથોરિટી) તરફથી તેઓને કોફીટેબલ બુક અને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા ઉપ મુખ્યમંત્રીશ્રી કેશવ પ્રસાદ મૌર્ય એકતાનગર સર્કિટ હાઉસ આવી પહોંચ્યાં હતા. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટરશ્રી દર્શક વિઠલાણી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) કાર્યપાલક ઇજનેરશ્રી મહેશભાઈ બી. વસાવા, પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, નાયબ કલેકટર પ્રોટોકોલ શ્રી એન. એફ. વસાવા સહિતના અધિકારીઓએ તેઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.