જૂનાગઢમાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા સાવધાન! પોલીસને જાણ કરવી ફરજિયાત, ભંગ કરનારને થશે જેલ
જૂનાગઢ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. મકાન, દુકાન કે ગોડાઉન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી હવે અનિવાર્ય છે.
જૂનાગઢ (નરેન્દ્ર દવે દ્વારા):જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અધિક કલેક્ટર શ્રી બી. એસ. બારડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવેથી કોઈપણ મકાન માલિક કે સંસ્થાએ તેમની મિલકત ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ફરજિયાત રહેશે. આ નિયમ મકાન ઉપરાંત ઔદ્યોગિક એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજને પણ સમાન રીતે લાગુ પડશે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, જૂનાગઢમાં મોટાપાયે પરપ્રાંતિય શ્રમિકો અને અન્ય લોકો રોજગારી અર્થે આવે છે. આવા સંજોગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ સ્થાનિક લોકો સાથે ભળી જઈને કોઈ બદઈરાદો પાર ન પાડે તે માટે તકેદારીના ભાગરૂપે આ પગલું લેવાયું છે. પોલીસ વેરીફિકેશન દ્વારા ભાડુઆતની સાચી ઓળખ અને ભૂતકાળની વિગતો જાણી શકાશે, જેથી જિલ્લાની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે.
નવા નિયમ મુજબ, મકાન માલિકે માત્ર ભાડુઆતની જ નહીં, પરંતુ જો કોઈ પ્રોપર્ટી દલાલ દ્વારા સોદો થયો હોય તો તે દલાલની ઓળખ અને વિગતો પણ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલી બન્યું છે અને આગામી ૬/૦૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ મકાન માલિક કે દલાલ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.
વિશ્લેષકોના મતે, આ જાહેરનામું જનતાની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. મકાન માલિકોએ ભાડુઆતના આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને કાયમી સરનામાની વિગતો સાથેના ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જોઈએ. ઘણી જગ્યાએ આ પ્રક્રિયા હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ ઉપલબ્ધ છે, જેનાથી મકાન માલિકોને હાલાકી ભોગવવી ન પડે. જોકે, ઓફલાઇન અરજી પણ સ્વીકારવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા પ્રશાસનનો આ નિર્ણય સુરક્ષિત ભવિષ્ય માટેનું એક મક્કમ ડગલું છે. જિલ્લાના તમામ મિલકત ધારકોને આ કાયદાનું પાલન કરી વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. 'અમદાવાદ એક્સપ્રેસ' પણ નાગરિકોને વિનંતી કરે છે કે, સુરક્ષામાં સહેજ પણ બાંધછોડ કર્યા વગર પોલીસ વેરીફિકેશન કરાવ્યા બાદ જ મિલકત ભાડે આપવી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.