મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સરાહનીય પહેલ: વંચિત બાળકો માટે શિક્ષણનો માર્ગ

અમદાવાદની થલતેજ અનુપમ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા 303 બાળકોએ શિક્ષણની નવી શરૂઆત કરી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સરાહનીય પહેલ: વંચિત બાળકો માટે શિક્ષણનો માર્ગ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા થલતેજ સ્થિત પી.એમ. શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ-2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા, સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા તેમજ નવપ્રવેશી બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિશેષ પ્રવેશોત્સવ યોજાયો હતો.

 

આ કાર્યક્રમ અંતર્ગત ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા 20 બાળકો, સિગ્નલ સ્કૂલના 233 બાળકો અને શાળાના 50 નવપ્રવેશી વિદ્યાર્થીઓ સહિત કુલ 303 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણનો અધિકાર અને સમાન તક પૂરી પાડવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર સાબિત થશે. તેમણે જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને ‘સિગ્નલ શાળા’ તેમજ અન્ય સરકારી શાળાઓમાં શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે.

 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી બાળકોને લાવી ભિક્ષાવૃત્તિ કરાવતા આંતરરાજ્ય રેકેટ સામે કાર્યવાહી કરી 33 બાળકોને મુક્ત કરાવી તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. તેમણે શિક્ષકોને આ બાળકોને પોતાના સંતાનો સમાન સ્નેહ, માર્ગદર્શન અને સંસ્કાર આપવાની અપીલ કરી હતી.

તેમણે ઉપસ્થિત નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.

 

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પોલીસ, મહાનગરપાલિકા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત પ્રયાસોથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવામાં શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

આ કાર્યક્રમ દરમિયાન ભિક્ષાવૃત્તિ મુક્તિ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં ડીજીપી શ્રી જી.એસ.મલિક, મેમ્બર સેક્રેટરી શ્રીમતી હેતલ એમ. પવાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. એમ.એ. પીપરાણી, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: વિકસિત ભારત ૨૦૪૭ શાળા પ્રવેશોત્સવ 2026 AHTU અમદાવાદ પ્રાથમિક શિક્ષણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વંચિત બાળકોનું શિક્ષણ ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાન થલતેજ અનુપમ પ્રાથમિક શાળા સિગ્નલ શાળા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ હર્ષ સંઘવી અમદાવાદ

સંબંધિત સમાચાર