બીજાપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈન વિસ્ફોટ કરીને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના વાહનને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં વાહનને નુકસાન થયું હતું અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને હેડ કોન્સ્ટેબલનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના ફરસેગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કુત્રુ-ફરસેગઢ રોડ પર સોમનપલ્લી ગામ નજીક લેન્ડમાઈન વિસ્ફોટ કરીને નક્સલવાદીઓએ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના વાહનને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં વાહનને નુકસાન થયું છે અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ આકાશ મસીહ અને હેડ કોન્સ્ટેબલ સંજય સુરક્ષિત છે.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બીજાપુર જઈ રહ્યા હતા
અધિકારીના જણાવ્યા અનુસાર, ફરસેગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી મસીહ હેડ કોન્સ્ટેબલ સંજય સાથે સત્તાવાર કામ પર બીજાપુર જઈ રહ્યા હતા અને જ્યારે તેઓ કુત્રુ-ફરસેગઢ રોડ પર સોમનપલ્લી ગામ નજીક પહોંચ્યા ત્યારે નક્સલવાદીઓએ લેન્ડમાઈન વિસ્ફોટ કર્યો. તેમણે કહ્યું કે ફરસેગઢ પોલીસ સ્ટેશન અને છત્તીસગઢ સશસ્ત્ર દળોના પોલીસ કર્મચારીઓની સંયુક્ત ટીમને આજે પેટ્રોલિંગ માટે આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને નક્સલવાદીઓની શોધ શરૂ કરવામાં આવી છે.


