હારીજ તાલુકાના દાંતરવાડા પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજયા છે તેમજ પાંચ લોકો ને ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાથી પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે હારીજ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ સમી તાલુકાના વરાણા ખાતે ખોડીયાર માતાજીનો મેળો શરૂ થઇ ગયો છે ત્યારે દિન પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો પગપાળા સંઘ મારફતે તેમજ વાહનો લઇને માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યા છે ત્યારે ગત રાત્રે બહુચરાજી તાલુકાના અંબાલા ગામેથી ઠાકોર સમાજના શ્રધ્ધાંળુઓ દ્વારા પગપાળા યાત્રા સંઘ મારફતે વરાણા ખાતે જઇ રહ્યા હતા તે દરમિયાન હારીજ તાલુકાના દાંતરવાડા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટર્બો ટ્રકે રોડ પર જઇ રહેલા પદયાત્રીઓને ટક્કર મારતાં ધટના સ્થળે એક કિશોરી રોશનીબેન જગાજી (ઉ.વ ૧૬ ) તેમજ પૂજાબેન જયરામજી ( ઉ.વ ૨૦)તથા શારદાબેન કડવાજી ( ઉ.વ ૬૨ ) નું મોત નિપજયું હતું જયારે મહેન્દ્ર ઠાકોર ( ઉ.વ ૨૫), રાહુલ મગનજી ઠાકોર (ઉ.વ ૧૮), નિલેશ પ્રતાપજી ઠાકોર (ઉ.વ ૧૩), સવિતાબેન નાગજીજી ઠાકોર ( ઉ.વ ૪૫) તથા સંદેશ માનસિંગજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે ધારપુર ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ઘટનાને પગલે હારીજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
માતાજીનો રથ ઝાડીઓમાં જઇને પડ્યો
પગપાળા જઇ રહેલા પદયાત્રીઓના સંઘને ટ્રક ચાલક દ્વારા ટક્કર મારતાં ત્રણ મહિલાના મોત નિપજયાં હતાં તેમજ પાંચ લોકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માત દરમિયાન માતાજીનો રથ રોડ પરથી ફંગોળાઈને બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાં પડ્યો હતો.


