આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અડાલજના બાલાજી ઉપવન સ્કીમમાં રહેતા મૂળ સુરતના જીતેશકુમાર કાંતિલાલ શાહ સરકારી કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે. તેમણે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી કે, અમદાવાદ રખિયાલ ખાતે રહેતા દેવાંગ નાથુરામ વિસાણી દેવ એન્ટરપ્રાઇઝ નામે વ્યવસાય કરે છે અને તેમની સાથે ઓળખાણ થઈ હતી તેમની સાથે આવતા નીરજ સુરેશકુમાર વિસાણી રહે શરણમ રેસીડેન્સી નિકોલ નરોડા સાથે પરિચય થયો હતો. આ દરમિયાન વર્ષ ૨૦૧૮માં જીતેશ કુમારે બાલાજી ઉપવનમાં નવ નંબરનો બંગલો ૨.૧૧ કરોડમાં વેચાણ રાખ્યો હતો અને તેનો દસ્તાવેજ અલ્હાબાદ બેંકમાં હતો. આ દરમિયાન તેઓ સુરત ખાતે હોવાથી દેવાંગ વિસાણી દ્વારા આ દસ્તાવેજ મેળવીને તેમજ જીતેશ કુમારના અન્ય ડોક્યુમેન્ટ મેળવી લઈ મીઠાખળી અમદાવાદ ખાતે આવેલી જના સ્મોલ બેંકમાંથી ૨.૨૫ કરોડ રૃપિયાની લોન મેળવી લેવામાં આવી હતી.
ભાગીદારી પેઢી બનાવીને આ લોન લેવામાં આવી હતી જેમાં જીતેશકુમારને પણ તેમની જાણ બહાર ભાગીદાર બનાવ્યા હતા. જેમાં નીરજ વિસાણીની પણ સંડોવણી હતી ગત જાન્યુઆરી મહિનામાં બેંક તરફથી આ લોન સંદર્ભે નોટિસ મળતા આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો. જેના પગલે હાલ અડાલજ પોલીસ દ્વારા દેવાંગ વિસાણી સહિત ત્રણ સામે ૨.૨૫ કરોડ રૃપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.