મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા જનહિતલક્ષી નિર્ણયો અંગે મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે શાળા પ્રવેશોત્સવ, ચોમાસાની આપત્તિ વ્યવસ્થાપનથી લઈને ઉદ્યોગ અને કર્મચારી કલ્યાણ ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી શિક્ષણની આ આગવી ઝુંબેશને આ વર્ષે વધુ વેગવંતી બનાવવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જઈને નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા બાળકો અને નંદઘરના ભૂલકાઓને શૈક્ષણિક કીટ અને નોટબુકો આપીને આવકારવામાં આવશે.
મંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપેલા આદેશ અંગે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વહીવટીતંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. દરેક જિલ્લામાં ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મહત્તમ વૃક્ષારોપણ કરવા પર પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ‘ઇન્ડસ્ટ્રીઝ પોલિસી’ને મંત્રીમંડળે બિરદાવીને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવ્યા હતા. આ નવી પોલિસીથી ગુજરાતમાં વિદેશી રોકાણ વધવા સાથે સ્થાનિક ઉદ્યોગકારોને પણ મોટું પ્રોત્સાહન મળશે.
આ નીતિથી રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારો અને એક્સટેન્શન કરતા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીશ્રીએ આ નીતિના પ્રમોશન અને ઉદ્યોગકારોની જરૂરિયાતોને સમજીને તેને પૂરી કરવા સૂચના આપી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રહિતના સૂચનોનો અમલ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી. સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવા માટે 'વોકલ ફોર લોકલ' અભિયાનને વેગ આપી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કેબિનેટમાં દોહરાવાયો છે.
પાણી બચાવવા અને સ્વચ્છતાને પ્રત્યેક નાગરિક પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે તે માટે વ્યાપક સ્તરે જનજાગૃતિના કાર્યો અને કાર્યક્રમો કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને વિશેષ માર્ગદર્શન આપ્યું છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.