મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લીધી

જિલ્લા કલેક્ટરએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઇ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે. તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું.

નર્મદા જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લીધી

રાજપીપલા :  રાજ્યમાં પ્રથમવાર માન.મુખ્યમંત્રીના સીધા માર્ગદશન હેઠળ સરકારશ્રી દ્વારા વહીવટતંત્રની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્વિત કરવાના હેતુસર રાજ્યભરમાં આજે તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઇપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામિટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઇ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે. તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમ થકી જોડાઇને જેસલપોર ગામનો ફિડબેક આપ્યો હતો. તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોની પૃચ્છા કરી ફીડબેક મેળવ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત દરમ્યાન પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાગર, પ્રાંત અધિકારીશ્રી કિશનદાન ગઢવી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા માહિતી અધિકારી અને ગ્રામ્ય અને તાલુકા લેવલના સ્થાનિક અધિકારીઓ આ એક દિવસીય મુલાકાતમાં જોડાયા હતાં.

આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રારંભમાં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળતી સુવિધા અને ક્લાસરૂમ તથા પાણી, લાઇટ, ટોયલેટ, મધ્યાહન ભોજન અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં વઘારેલી ખિચડી, ચણાનો સ્વાદ માણ્યો હતો અને ગુણવત્તા ચકાચી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને બાળકોનું વજન, ઉંચાઇ તેમજ પોષણ અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને જર્જરિત બાલવાડીના રીપેરીંગનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને આંગણવાડીમાં સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી અને મહિલાઓની પૃચ્છા કરી હતી કે તમને આંગણવાડીમાં મળતી સુવિધાથી સંતોષ છે. ગ્રામજનોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ સંપૂર્ણતા અભિયાન અંગે પણ ગ્રામજનોને માહિતી આપી હતી.

 

સંબંધિત સમાચાર