મુખ્ય સામગ્રી પર જાઓ

સુરતમાં પૂર બાદ પુનઃસ્થાપનની કવાયત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી યુદ્ધના ધોરણે કામગીરી

સુરતમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય કરવા માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્વચ્છતા, રોગચાળો નિયંત્રણ અને આર્થિક સહાયને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે.

સુરતમાં પૂર બાદ પુનઃસ્થાપનની કવાયત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી યુદ્ધના ધોરણે કામગીરી

ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ કવાયત હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આપત્તિના આ સમયમાં કોઈપણ પ્રકારની ઢીલાશ વગર નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય ત્રણ બાબતો ભરાઈ ગયેલા પાણીના યોગ્ય અને ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સફાઈ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર મૂક્યો છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર ધમધમતું કરવા માટે તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યા છે.

૯૧૦૦ થી વધુ પરિવારોનો રેકોર્ડબ્રેક સર્વે અને રોકડ સહાય

પ્રશાસનની કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તંત્ર રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરના અંદાજે ૯૧૦૦ જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલ તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આજે મોડી રાત સુધીમાં આ સહાય પહોંચાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુરત શહેરના ૫૮ જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તથા દુકાનોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આવા સંજોગોમાં વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ ડેટા તૈયાર કરી રહ્યું છે.

જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય, તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોના ફોન આવતા જ ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરાવવામાં આવશે.

આપત્તિની આ ઘડીમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર સરકારી તંત્ર, પ્રશાસન અને કોર્પોરેશન રાત-દિવસ એક કરીને સુરતના નાગરિકોની સુરક્ષા અને સુવિધા આપવા કાર્યરત છે. ખૂબ જ ટૂંકા સમયમાં સુરત ફરી એકવાર અણનમ ઊભું થઈને દેશના વિકાસ એન્જિન તરીકે ધમધમતું થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે.

Tags: સુરત મહાનગરપાલિકા હર્ષ સંઘવી સ્વચ્છતા અભિયાન સુરત પૂર રાહત કામગીરી Harsh Sanghavi Surat Flood Surat Flood Relief Operations Surat Municipal Corporation Recovery Flood Damage Survey Surat Financial Aid for Flood Victims Surat પૂર સર્વે રોગચાળો નિયંત્રણ કેશડોલ સહાય આર્થિક સહાય

સંબંધિત સમાચાર