વડોદરા : સાવલી તાલુકાના મંજુસરની સરકારી માધ્યમિક શાળા શ્રી ગુરુ મુકુટરામજી વિદ્યામંદિર ખાતે ડો.વિક્રમભાઈ સારાભાઇ શાળા વિકાસ સંકુલ-૧ નું ૨૦ મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૫૧ શાળાઓ દ્વારા કુલ પાંચ વિભાગોમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની ૫૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ડૉ.વિક્રમભાઈ સારાભાઇ શાળા વિકાસ સંકુલ-૧ના ૨૦ મા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે કે.જે.આઈ.ટી. કોલેજ કેમ્પસના ટ્રસ્ટીશ્રી સમીરભાઈ પંડયા,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરાના શિક્ષણ નિરીક્ષકશ્રી એમ.આર.પાંડે, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી એસ.એમ.પારગી, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી બિન્દુબેન ઢોલા, ડો.વિક્રમભાઈ સારાભાઇ શાળા વિકાસ સંકુલ-૧ ના કન્વીનરશ્રી વિરલભાઈ નાયક, યજમાન શાળાના આચાર્યશ્રી ડૉ.અવનીબેન બારોટ તેમજ SVS-૧ ના આમંત્રિત આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય વિભાગમાં ૧૭ કૃતિઓ, પર્યાવરણ અને જીવન શૈલી વિભાગમાં ૧૦ કૃતિઓ, ખેતી વિભાગમાં ૧૭ કૃતિઓ, સંદેશા વ્યવહાર અને પરિવહન વિભાગમાં ૧૧ કૃતિઓ તેમજ ગણતરીતાત્મક વિભાગમાં ૩ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
બાળ વૈજ્ઞાનિકોએ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી વૈજ્ઞાનિક ઢબે રહેલી આંતરિક શુષુપ્ત શક્તિઓ ઉભરી આવી હતી. પ્રદર્શન કાર્યક્રમમાં તેઓના મૂલ્યાંકન માટે કુલ મળીને ૧૪ નિર્ણાયકો નિમવામાં આવ્યા હતા. G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરા તેમજ શ્રી ગુરુ મુકુટરામજી વિદ્યામંદિર જી.આઈ.ડી.સી. સરકારી માધ્યમિક શાળા, મંજુસર દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
શ્રી ગુરુ મુકુટરામજી વિદ્યામંદિર જી.આઈ.ડી.સી. સરકારી માધ્યમિક શાળા, મંજુસર શાળા પરિવારના તમામ સભ્યોના સહિયારા પ્રયત્નોથી કાર્યક્રમ કુશળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકશ્રી મુકેશકુમાર.બી.બારીઆ દ્વારા કરવામાં આવું હતું.