મનીલા: ફિલિપાઇન્સની રાજધાનીના મનીલા વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારત ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે વહેલી સવારે રાજધાની વિસ્તારમાં થયો હતો. અહીં આગ લાગવાને કારણે, એક કલાકમાં ત્રણ માળની રહેણાંક ઇમારત બળીને રાખ થઈ ગઈ અને તેમાં આઠ લોકોના મોત થયા. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ ઘાયલ થયા છે.
તેમણે કહ્યું કે લાકડાના બનેલા આ મકાનમાં આગ મધ્યરાત્રિ પછી લાગી જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. આ ઇમારત ક્વેઝોન શહેરના ઉપનગરીય વિસ્તારમાં સાન ઇસિડ્રો ગાલાસ ગામમાં આવેલી હતી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. વરિષ્ઠ ફાયર અધિકારી રોલાન્ડો વાલેનાએ સાક્ષીઓને ટાંકીને એપીને જણાવ્યું હતું કે બે મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પર અને છ અન્ય બીજા માળે મળી આવ્યા હતા, જ્યાંથી આગ લાગી હશે.
૧૯૯૬માં બની હતી સૌથી મોટી આગ દુર્ઘટના
માર્ચ મહિનામાં ફિલિપાઇન્સમાં આગ-નિવારણ મહિનો શરૂ થાય તેના બે દિવસ પહેલા જ આ આગ લાગી હતી, જ્યારે સરકાર ઉનાળાની ઋતુની શરૂઆત પહેલા આગના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે વાર્ષિક ઝુંબેશ શરૂ કરે છે. ફિલિપાઇન્સમાં લાગેલી ઘણી ભયંકર આગ સલામતીના નિયમોના નબળા અમલીકરણ, વધુ પડતી ભીડ અને ખામીયુક્ત ઇમારત ડિઝાઇનને આભારી છે. ૧૯૯૬માં, ક્વેઝોન સિટીમાં એક ડિસ્કોમાં આગ લાગવાથી ૧૬૨ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાની વિદાયની ઉજવણી કરી રહ્યા હતા. બાજુમાં આવેલી નવી ઇમારત દ્વારા ઇમરજન્સી એક્ઝિટ બંધ હોવાથી તેઓ છટકી શક્યા નહીં.


