ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી નુકસાન થયું છે. રવિવારે આખા માંગરોળ ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા જેમાં આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હતું અનેક મકાનો માલસામાન ને મોટું નુકશાન થયું હતું ત્યારે માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં પણ પુર નાં પાણી ભરાઈ જતાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ પર આપવાનો અનાજનો લાખો રૂપિયાનાં જથ્થામાં પાણી ઘૂસી જતાં ગામમાં માલ બરબાદ થઈ ગયો હતો.
દુકાનદારે આ બાબતે મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરી છે.આમ માંગરોળ ગામમાં પુરનાં પાણી ઘૂસ્યા બાદ તબાહી મચી હતી જેમાં અનેક લોકો ઘર વિહોણા બન્યા છે તો ધરતીપુત્રોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં તમામ પાક ધોવાઈ જતાં ખેતીમાં મોટું નુકશાન થયું છે.
આવી સ્થિતિ નાંદોદ તાલુકાના અનેક ગામોમાં સર્જાઇ છે જેમાં ધાનપોર ગામમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે અને પાણીની આ કુદરતી આફત માં જે જે ગામોમાં પાણી ભરાયાં હતાં તે પાણી ઉતરતા હાલમાં ત્યાં બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા.
ધાનપોર ગામ માં કેળ, પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન સહિતનો સામાન પણ પાણીમાં તણાઇ જતાં ખેડૂતો મુસીબતમાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.