ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ 'જોજિલા ટનલ'નું અંતિમ 'બ્રેકથ્રૂ બ્લાસ્ટ' સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ બ્રેકથ્રૂ એટલે કે ટનલના અંદરના ભાગની છેલ્લી પથ્થરની દીવાલને વિસ્ફોટ વડે તોડીને બંને છેડાને જોડવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ભારે બરફવર્ષા દરમિયાન પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સ્વપ્ન હવે સાકાર થવાના આરે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જમ્મુ-કાશ્મીરને લદ્દાખ સાથે જોડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂ પ્રસંગે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા હતા. આ સફળતા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિપરીત પરિસ્થિતિઓ અને અતિશય ઊંચાઈ પર રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, કનેક્ટિવિટી દ્વારા જ વિકાસ શક્ય બને છે અને છેલ્લા 12 વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, 'અત્યાર સુધી આપણે આને એશિયાની સૌથી લાંબી ટનલ કહી રહ્યા હતા, પરંતુ હવે આ ટનલ વિશ્વના ઇતિહાસમાં પણ નંબર-1 સ્થાન મેળવશે. આ લેહ અને લદ્દાખના લોકો માટે એક સાચી જીવનરેખા છે. જ્યારે આ ટનલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં -4 ડિગ્રી કે તેનાથી પણ ઓછું તાપમાન હતું. આવી હાડ થીજાવતી ઠંડીમાં પણ એન્જિનિયરો, મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ડોકટરોની ટીમે અદભુત મહેનત કરીને આ કમાલ કરી બતાવ્યો છે. આ ટનલ વૈશ્વિક સ્તરના સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.'
નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ટનલનું આ બ્રેકથ્રૂ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 મહિના વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રેકથ્રૂ પછી હવે આગામી 7થી 8 મહિના સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલશે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ અને અન્ય ટેકનિકલ ફિટિંગ શરૂ કરવામાં આવશે. અધિકારીઓને આશા છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 સુધીમાં આ ટનલને સામાન્ય જનતાની અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવશે.