બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આવો વાત કરીએ ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ બાબાસાહેબ આંબેડકર તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. ભારતમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
ભીમરાવ આંબેડકરનું સમગ્ર જીવન ખુબજ સંઘર્ષમય હતું. ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા હતા.ભારતની આઝાદી બાદ તેમણે દેશના બંધારણના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ડો. ભીમરાવ આંબેડકર એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક હતા જેમણે જાતિ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિત સમુદાયના અધિકારો માટે લડ્યા હતા. ડૉ. આંબેડકર શિક્ષણ દ્વારા સમાજના કમજોર, મજદૂર અને મહિલા વર્ગને સશક્ત બનાવવા માંગતા હતા.
આંબેડકર જયંતિનો ઈતિહાસ
જનાર્દન સદાશિવ રણપિસે આંબેડકરના પ્રખર અનુયાયી અને સામાજિક કાર્યકર હતા. તેમણે પૂણેમાં 14 એપ્રિલ, 1928ના રોજ પ્રથમ વખત ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તેમણે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી અને ત્યારથી ભારત દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિને જાહેર રજા હોય છે.
આંબેડકર જયંતિનું મહત્વ
આંબેડકર જયંતિનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તે જાતિ આધારિત કટ્ટરતા તરફ ધ્યાન દોરે છે, જે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા સમાજમાં યથાવત છે. આ દિવસની ઉજવણી કરીને આપણે વંચિતોના ઉત્થાનમાં બાબાસાહેબના યોગદાનને યાદ કરીએ છીએ. તેમણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો જે જાતિ, ધર્મ, જાતિ અથવા સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. આંબેડકરે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય સંસ્થા, બહુષ્કૃત હિતકારિણી સભાની રચના કરી તેમજ દલિતોને જાહેર પીવાના પાણીનો પુરવઠો અને હિંદુ મંદિરોમાં પ્રવેશવાનો અધિકાર આપવા માટે આંદોલન પણ કર્યુ..


