અમદાવાદ / સુરત / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચી તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને પાર્ટી સમગ્ર પરિવાર સાથે અડગપણે ઉભી હોવાનું જણાવ્યું હતું. પાયલ સાકરિયાએ વર્ષાબેનની હિંમત, ધીરજ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં કહ્યું કે, સંઘર્ષના સમયમાં એક મહિલા પરિવારની સૌથી મોટી તાકાત બનીને ઉભી રહે છે અને વર્ષાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે.
’આપ’ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવા સહિત અન્ય લોકો સામે ખોટા કેસો દાખલ કરી સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, જે લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ચૈતર વસાવા અને તેમના પરિવારની સાથે મજબૂતાઈથી ઉભી છે અને આ લડતમાં ખભેખભા મિલાવીને સાથ આપતી રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્યનો વિજય નિશ્ચિત છે અને અન્યાય સામેનો સંઘર્ષ અંત સુધી ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત