વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સીએમએમ ભારત દ્વારા વિરમગામના ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિરમગામ નગરપાલિકાના સફાઈ કર્મચારી સોનલબેન નરેશભાઈ વાઘેલા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ૨૦ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના ૮૦થી વધુ સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ લોકો દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ લોકોનો સીએમએમ ભારતના વંદના નીલકંઠ વાસુકીયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જોઇએ.
છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તો શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૪ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ.