દુબઈ: ક્રિકેટ ચાહકો માટે જેની આતુરતાનો અંત આવ્યો છે, તે એશિયા કપ 2025નો ફાઇનલ મુકાબલો આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો ટાઇટલ મેચમાં આમને-સામને આવી છે. ભારતે આ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઇંગ 11માંથી બહાર છે. તેના સ્થાને બેટિંગ ઓલરાઉન્ડર રિન્કુ સિંહને તક આપવામાં આવી છે.
હાર્દિક પંડ્યાની ઈજા: પ્લેઇંગ 11માં મોટા ફેરફારો
એશિયા કપ 2025 ફાઇનલ પહેલાં ભારતીય ટીમને સૌથી મોટો ફટકો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાના રૂપમાં પડ્યો છે. પંડ્યા ગત મેચમાં એક ઓવરની બોલિંગ બાદ જ મેદાનની બહાર જતા રહ્યા હતા, ત્યારથી તેના ફાઇનલમાં રમવા પર સસ્પેન્સ હતું. જોકે, ટીમ મેનેજમેન્ટે તેને આરામ આપવાનો નિર્ણય લીધો છે.
પંડ્યા ઉપરાંત, છેલ્લી મેચમાં રમેલા અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને પણ બહાર બેસાડવામાં આવ્યા છે. તેમના સ્થાને ઓલરાઉન્ડર શિવમ દુબે અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે, જે ભારતીય બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. બીજી તરફ, પાકિસ્તાને તેની અગાઉની મેચની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારત vs પાકિસ્તાન પ્લેઇંગ 11
ભારત (પ્લેઇંગ ઇલેવન): અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સામ અયુબ, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફરીદી, હારિસ રઉફ, અબરાર અહેમદ.
ભારતનું અજય અભિયાન અને ટૉસનો નિર્ણય
એશિયા કપ 2025માં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી અજેય રહ્યું છે. ટીમે સતત છ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે પાકિસ્તાનને બે મેચમાં હાર મળી છે – અને તે બંને હાર ભારત સામે જ મળી છે. ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દુબઈની પીચ અને ઝાકળની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું માનવામાં આવે છે.
ફાઇનલમાં ભારત-પાકનો રેકોર્ડ
આ મેચ સાથે, પાંચ કે તેથી વધુ ટીમો ધરાવતી મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં પાંચ ફાઇનલ મુકાબલા થયા છે. પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે, જ્યારે ભારત બે મેચમાં વિજયી રહ્યું છે. ભારત આ વખતે પાકિસ્તાન સામે જીતીને આ સ્કોરને 3-3ની બરાબરી પર લાવવા માંગશે. જો ભારત એશિયા કપ જીતે છે, તો ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો વસવસો પણ થોડો ઓછો થશે.


