મોંઘવારીમાં મધ્યમ વર્ગને આશરો: ચાણસ્મામાં ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન
સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપવા અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ પર લગામ કસવાના ઉમદા હેતુ સાથે ચાણસ્મામાં ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઘાણોદરડા સ્થિત સંતોષ ગૌશાળાના પવિત્ર પરિસરમાં ગૌમાતાના સાનિધ્યમાં આ મંગલ પ્રસંગ યોજાશે. હાલના મોંઘવારીના સમયમાં પરિવારો પર આર્થિક ભારણ ન વધે તે માટે સમાજના અગ્રણીઓએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.
દાતાઓની ઉદારતા: પ્રકાશસિંહ ઠાકોરે મંડપ ડેકોરેશનનો તમામ ખર્ચ ઉપાડ્યો
સમૂહલગ્નની જાહેરાત થતા જ ભાગ્યશાળી દાતાઓ દ્વારા દાનની સરવાણી શરૂ થઈ છે. મૂળ મંડલોપના વતની અને હાલ અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ <b>પ્રકાશસિંહ ઠાકોરે</b> ચાણસ્મા ઓફિસની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગ માટે વિશાળ મંડપ અને ડેકોરેશનનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરતા આયોજકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. સમૂહલગ્ન સમિતિના વિક્રમજી ઠાકોર, ભોમજી સિંહ ઝાલા અને સેંધા ગામના ક્ષત્રિય સેનાના આગેવાનો દ્વારા દાતાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
ભોજનથી કંકોતરી સુધીનો સહયોગ: સેવા અને સમર્પણનો સંગમ
આ આયોજનમાં માત્ર મંડપ જ નહીં, પરંતુ ભોજન, કંકોતરી અને અન્ય વૈવાહિક વ્યવસ્થાઓ માટે પણ અનેક સેવાભાવી નરબંકાઓ આગળ આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ સમૂહલગ્ન થકી એક પરિવાર નહીં પણ સમગ્ર સમાજ એકતાના સૂત્રે બંધાશે. જાણકારોનું માનવું છે કે, આ પ્રકારના આયોજનો મધ્યમ અને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. હાલ સમિતિ દ્વારા વ્યવસ્થાપન, રજિસ્ટ્રેશન અને ડેકોરેશનની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.
સામાજિક પરિવર્તનનો નવો રાહ
ચાણસ્મા ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ સામાજિક પરિવર્તન તરફનું એક મક્કમ ડગલું છે. ગૌશાળાના સાનિધ્યમાં યોજાનારા આ લગ્ન સમાજને સાદગી અને એકતાનો સંદેશ આપશે. 'અમદાવાદ એક્સપ્રેસ' આ ભગીરથ કાર્યને બિરદાવે છે.


