૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.
આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.
આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે.
દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.