મુખ્ય સામગ્રી પર જાઓ

ગરુડેશ્વરમાં ધામદ્રા ગામે રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો

કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સહકારી પ્રવૃતિઓની રૂપરેખા, સેવા સેતુ કાર્યક્રમ સહિત બેસ્ટ ફાર્મર આત્મા એવોર્ડ-ખેડૂત સન્માન, ચેક/વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

ગરુડેશ્વરમાં ધામદ્રા ગામે રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા : નર્મદા જિલ્લાના ખેડૂતોને રવી સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પૂરું પાડવા જિલ્લાનાં પાંચે તાલુકાઓમાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના ધામદ્રા ગામે તાલુકા પંચાયત પ્રમુખશ્રી માંગતાભાઈ વસાવાનાં અધ્યક્ષમાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩’ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પોલીટેકનિક કૃષિ ઇજનેર કોલેજ, દેડિયાપાડાના મદદનીશ પ્રાધ્યાપકશ્રી રાજેશ જી. બુરબડેએ વર્ષ ૨૦૨૩ ને ઈન્ટરનેશનલ મિલેટસ યર, "શ્રી અન્ન" મિલેટ્સની મહત્વતા અંગે ખેડૂતોને વક્તવ્ય આપીને માહિતગાર કર્યા હતા. જિલ્લા રજીસ્ટ્રાર શ્રીમતી આર. આર. ભગત દ્વારા સહકાર વિભાગના ૨૦ મુદ્દાઓ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. સાથોસાથ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતમિત્ર શ્રી રાજેશભાઈ તડવી, શ્રી નામશરણ તડવી અને શ્રી રણજીતભાઇ તડવીએ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. હીરાભાઈ પરમારે પણ ઉપસ્થિત
ખેડૂતોને એફ. પી. ઓ. યોજના ફાયદા અંગેની સમજણ આપીને E-Nam માં જોડાવા અનુરોધ કર્યો હતો.

ધામદ્રા ગામેથી મોટી સંખ્યામાં લોકો-ખેડૂતમિત્રોએ અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત પ્રસારણને નિહાળીને રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ - ૨૦૨૩અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત ઊપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેસ્ટ ફાર્મર આત્મા એવોર્ડ, ખેતીવાડી/બાગાયત/પશુપાલન ખાતાની યોજનાઓના મંજુરી પત્રો ખેડૂતનું સન્માન, ચેક/વર્ક ઓડર વિતરણ કરવામાં આવ્યું હતુ.

સંબંધિત સમાચાર