વડોદરામાં પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ખેડૂતો અને લોકોને થયેલી આર્થિક નુકસાની બદલ સહાય તાત્કાલિક મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અતુલ ગોર સક્રિય રીતે આયોજન કરી વધુ એક પ્રેરક પગલું ભર્યું છે. આજે સાંજે કલેક્ટરશ્રી અતુલ ગોરે ધી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ નેશનલ ઇન્સ્યોરન્સ સહિતની મહત્વની જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં શ્રી ગોરે ઈન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓને કહ્યું કે, કુદરતી આપત્તિની આ સ્થિતિમાં લોકોની સેવા કરવાની આપણી પાસે તક છે. તેમણે જિલ્લાના ૩૧ ગામો કે જ્યાં પૂરના કારણે ખેતીને નુકસાન થયું છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે પાક વીમાની ચૂકવણી કરી ખેડૂતોને રાહત આપવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રતિનિધિઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી સર્વે કરાવવા તેમજ સ્થળ પર જ દાવા અંગેના ત્વરીત નિકાલ માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત શિનોરના માલસર તેમજ ડભોઈના ચાણોદ, કરનાળી જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે માલસામાનને નુકસાન થયું છે, તેવા વિસ્તારોમાં પણ તાત્કાલિક સર્વે કરાવી વીમાની ચૂકવણી માટેના દાવાઓ સ્વીકારવા સૂચન કર્યું હતું.
કુદરતી આફતના આ સમયે ફરજનિષ્ઠાથી લોકોની સેવા કરવાના કલેક્ટરશ્રીના આહ્વાન પર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓએ હકારાત્મક વલણ દાખવી લઘુત્તમ સમયમાં મહત્તમ રાહતની વાત કરી હતી.