મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપળા પબ્લિક ગાર્ડનમા ફૂડકોર્ટ અને વેજીટેબલ માર્કેટ બનવા નહિ દઈએ: પ્રિન્સ માનવેન્દ્રસિંહ

સ્ટેટ વખતે આ જગ્યા મારા દાદાને માછી સમાજે માત્ર પ્રજાના બિન નફાના વપરાશ માટે સુપરત કરેલી છે વેપાર માટે નહીં

રાજપીપળા પબ્લિક ગાર્ડનમા ફૂડકોર્ટ અને વેજીટેબલ માર્કેટ બનવા નહિ દઈએ: પ્રિન્સ માનવેન્દ્રસિંહ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા નગરના એકમાત્ર જાહેર ઉદ્યાન વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનમાં નગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ અને ફૂડ કોર્ટ બનાવવાનું શરૂ કરાયું હતું ત્યારે ફૂડ કોર્ટ બનાવવા માટે ગાર્ડનની અંદર આગળના ભાગે આવેલી બાળકોના રમત ગમત માટેની જગ્યાનો ભોગ લેવાઈ ગયો હતો બાળકોના રમતોના સાધનો હટાવી દઈ ત્યાં પાકી દુકાનો બનાવવાની કામગીરી જોઈ નગરજનોમાં અને બાળકોમાં ભારે દુઃખ પ્રવર્તી ગયો હતો.

નગરના કેટલાક જાગૃત લોકો એ પોતાનો વિરોધ દર્શાવી નગરપાલિકાને અને ઉચ્ચ અધિકારીઓ ને આ મામલે દરમ્યાન ગિરી કરી પાલિકાની આ ખોટી કામગીરીને અટકાવવા માટે અરજ કરી હતી, પરંતુ કોઈએ તેમની વાત કાને ધરી ન હતી, અને પાલિકા નું વિપક્ષ પણ આંખો અને કાન બંધ કરી બેસી ગયું હતું. 

નગરના યુવકો હિરેન તડવી અને દિનેશભાઇ રતનલાલ માછી દ્વારા આ મામલે લડત શરૂ કરાઈ હતી.પરંતુ પાલિકાના સત્તાધારીઓએ પોતાની મનમરજી ચાલુ રાખી હતી ત્યારે સમગ્ર મામલો રાજપીપળા સ્ટેટના પ્રિન્સ અને ઇન્ટરનેશનલ સેલિબ્રિટી માનવેન્દ્રસિંહના ધ્યાને આવતા તેમણે આ મામલે અંગત રસ લઈ જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રીને પત્રો લખતા દોડધામ મચી ગઇ હતી, અને ગાર્ડનમા ચાલતી બાંધકામ પ્રવૃત્તિ માટે કોઈપણ જાતની મંજૂરી લેવાઈ ન હતી એવું ભાંડો ફૂટતા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવી દેવા હુકમ કર્યો હતો.

ત્યારબાદ હાલમાં રાજવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા મીડિયા સાથે રાજપીપળા ગાર્ડનની મુલાકાત લઈ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, અને પોતાના વંશજો દ્વારા સરકાર ને સુપરત કરાયેલી ઇમારતોની નિષ્કાળજી અને ગેર-ઉપયોગ સામે વાંધો ઉઠાવી દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતે નગરજનોના પડખે ઉભા છે એવું કહ્યું હતું.

સંબંધિત સમાચાર