હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા તા. 23 ડિસેમ્બર, 2023ના રોજ તેના વાર્ષિક ગીતા જયંતિ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતા જયંતિ એ એક અતિ દિવ્યપર્વ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રિય સખા અર્જૂનને ભગવદ્ ગીતાના અગૂઢ જ્ઞાનથી અવગત કરાવેલ હતો. દર વર્ષે આ મહાન પર્વ માગશર માસ સુદ ના અગિયારમાં દિવસે આવે છે. 5 હજાર વર્ષ પૂર્વે આ દિવસે કુરૂક્ષેત્રના યુધ્ધભૂમિ ઉપર, પૂર્ણ પુરષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ ભક્તિમય સેવાના સૌથી ગુઢ અને સર્વોચ્ચ જ્ઞાનને પોતાના ચરણકમળ સમક્ષ શરણાગત રૂપે ઉપસ્થિત પોતાના પ્રિય ભક્ત અને સખા અર્જનને ભગવદ્ ગીતારૂપે બોધ આપેલ હતો. જે સૌ ભકતો અને સમસ્ત માનવગણને જીવનનો ઉદેશ સમજવા અને ભગવાન શ્રીકૃષ્ણનું પૂર્ણપણે શરણ પામવામાં મદદગાર થાય છે.
ભગવદગીતાની રચના 18 અધ્યાયમાં થઈ છે જેમાં 700 શ્લોકોનો સમાવેશ થાય છે. ભગવદ ગીતામાં શરીર અને આત્માના અસ્તિત્વ અને તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ, ભૌતિક અને આધ્યાતમિક જગત, મનુષ્યની જવાબદારી અને આવા ઘણા બધા વિષયો તથા આપણને અને આપણી ક્રિયાઓને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાંકળવાની પધ્ધતિનું નિરૂપણ કરવામાં આવેલ છે. જે કોઈ ભગવદગીતાનું દરરોજ પઠન કરે છે તેની આધ્યાત્મિક પ્રગતિ અને જ્ઞાનમાં વધારો અવશ્યથી થાય છે. હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે સૌ ભક્તો ભેગા મળીને બપોરના 2.00 વાગ્યા થી સાંજના 6.30 સુધી ભગવદગીતાના 700 શ્લોકનું પઠન મંદિર પરિસરમાં કરશે. આ અનુભવ સૌ ભકતો માટે ઉત્કર્ષરૂપી અને દિવ્યમય બની રહેશે. ડિસેમ્બર માસ દરમ્યાન ગીતા બુક મેરેથોન પણ યોજાશે જેમાં ભક્તો સક્રિય રીતે ભાગ લઈને “ શ્રીમદ્ ભગવત ગીતા- યથારૂપ“નું વિતરણ કરશે જેમાં કૃષ્ણકૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાન્તા સ્વામી શ્રીલા પ્રભુપાદ દ્રારા નોંધ કરવામાં આવી છે જેઓ વિશ્વવ્યાપક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો ફેલાવા કરવાની ચળવળના પ્રણેતા છે.
કાર્યક્રમની વિગત
તારીખ અને દિવસ – ડિસેમ્બર 23, 2023
શુભ સ્થળ – હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટેલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, ભાડજ ગામ, અમદાવાદ.
ઉજવણીની રૂપરેખા
દર્શન સમય – સવારના 7.15 થી રાતના 8.30 સુધી
ભગવદગીતાના 700 શ્લોકોનું પઠન – બપોરના 2.00 કલાક થી સાંજના 6.30 સુધી
ગીતા મહત્વ વિશે વિશેષ પ્રવચન – સાંજના 7.00 કલાકે
મહા આરતી – સાંજના 8.00 કલાકે
પ્રભુની સેવામાં,
શ્રી જગનમોહન કૃષ્ણ દાસ
પ્રેસિડન્ટ -હરેકૃષ્ણ મંદિર, ભાડજ,
અમદાવાદ
વધુ વિગત માટે સંપર્ક કરશો
રયારામ દાસા-9904203228