અમદાવાદ / ભરૂચ/ નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ખોટા કેસમાં જેલમાં બંધ ભરુચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના ઘરે જઈ આજે તેમના પરિવાર સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રભારી ગોપાલ રાયની સાથે નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી ગોપાલ રાયે તેમના પરિવારના સભ્યોને મળીને હિંમત આપી અને વિશ્વાસ અપાવ્યો કે આખી આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલની સાથે છે. ત્યારબાદ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રાખતાં જણાવ્યું કે, આજે અમે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના ઘરે પહોંચ્યા છીએ. આજે કોઈપણ નેતા જો જનતાના મુદ્દા ઉઠાવે છે તો તેના જવાબમાં ભાજપ પાસે માત્ર એક જ ઉપાય છે કે તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. ઝઘડિયા GIDCમાં બોયલર ફાટ્યો અને જેમના કર્મચારીઓના જીવ ગયા, તેમને ન્યાય આપવાના બદલે તેમના પક્ષમાં અવાજ ઉઠાવનારા ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલ, ઝઘડિયાના પ્રભારી રજની વસાવા સહિત તમામ લોકો પર ખોટા કેસ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. તે કંપની સામે FIR થઈ નથી, પરંતુ જેમણે તે કર્મચારીઓ માટે અવાજ ઉઠાવ્યો તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આગળ જણાવ્યું કે, પહેલા ચૈતર વસાવાને સજા સંભળાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ સમગ્ર ભરૂચ લોકસભામાં જે પણ લોકો ચૈતર વસાવાની લડાઈમાં કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા હતા, પછી તે પિયૂષ પટેલ હોય, રજની વસાવા હોય અથવા આમ આદમી પાર્ટીના કોઈપણ હોદ્દેદાર હોય, તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા. હું ભાજપ સરકારને કહેવા માંગું છું કે તમે ભલે કેટલાય લોકોને પકડીને જેલમાં મોકલી દો, પરંતુ આમ આદમી પાર્ટી જે આદિવાસીઓની લડાઈ લડી રહી છે, તે ખેડૂતોની લડાઈ લડી રહી છે, મજૂરોની લડાઈ લડી રહી છે, તે લડાઈ ચાલુ રાખશે. અમે તેમના હક અને અધિકારોની લડાઈ ચાલુ રાખીશું અને તેમનો ઉપયોગ અવાજ બનીને આગળ કાનૂની રીતે પણ લડાઈ ચાલુ રાખીશું. આગામી દિવસોમાં જો સરકાર આ પ્રકારના દમનથી પાછળ નહીં હટે તો આમ આદમી પાર્ટી ખૂબ મોટું આંદોલન શરૂ કરશે. જેમની ધરપકડ કરવામાં આવે છે તેમની લડાઈ અમે વકીલો મારફતે લડીએ છીએ અને તેમના સમર્થનમાં આંદોલનના રૂપમાં પણ સમગ્ર રાજ્યમાં અવાજ ઉઠાવીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત