મુખ્ય સામગ્રી પર જાઓ

તિલકવાડા તાલુકાનાં વધુ એક ગામમાં દીપડાનો આતંક : વાસણ ગામે ઘર નજીક બાંધેલી બકરીનું મારણ કર્યું

એક બાદ એમ પશુઓને શિકાર બનાવતા દીપડાથી લોકોમાં ભય, વન વિભાગ વહેલી તકે દીપડાને જબ્બે કરે નહી તો કોઈ બાળકનો ભોગ લેવાશે, ઉપરાછાપરી દીપડાનાં આતંકથી લોકો પોતાના પશુ કે બાળકોને છુટા મૂકતા પણ ગભરાય છે છતાં વન વિભાગ હજુ પાંજરું મૂકવામાં આળસ કરે છે.

તિલકવાડા તાલુકાનાં વધુ એક ગામમાં દીપડાનો આતંક : વાસણ ગામે ઘર નજીક બાંધેલી બકરીનું મારણ કર્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા રેંગણ વાસણ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી દીપડાએ આતંક મચાવ્યો છે છેલ્લા બે ત્રણ દિવસોમાં એક વાછરડી તથા એક બકરાને દીપડાએ શિકાર કરતા આ વિસ્તારનાં લોકો માં ડર જોવા મળ્યો છે.

તિલકવાડા તાલુકાના વાડીયા કાલાઘોડા રેંગણ તથા વાસણ જેવા ગ્રામ્ય વિસ્તારમાં દીપડા એ આતંક મચાવ્યો છે હાલ માં જ તિલકવાડા તાલુકાના વાડિયા ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયાના ઘર નજીક બાંધેલી એક વર્ષ ની વાછરડીને રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરી ફાડી ખાધી હોવાની ઘટના બની હતી તેની સાહી હજુ સુકાઇ નથી ત્યાં જ હાલ વધુ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં વાસણ ગામે રહેતા કનુભાઈ સોમાભાઈ વસાવા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમના ઘર નજીક બાંધેલી બે વર્ષની બકરીને ગત રાત્રિના સમય દરમિયાન દીપડા એ શિકાર કરીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે આ વિસ્તાર માં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે અને દીપડાના વધી રહેલા આતંકને જોતા ફોરેસ્ટ વિભાગ તરફથી વહેલી તકે પાંજરું મૂકવામાં આવે અને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

જોકે તાજેતર માં વાડિયા ગામમાં વાછરડી ને શિકાર બનાવી હોવાની ઘટના બન્યા બાદ પણ વન વિભાગ કેમ દીપડા ને પકડવા પાંજરૂ ગોઠવતું નથી..? શું મૂંગા પશુ બાદ કોઈ બાળક નો જીવ જવાની રાહ જોવાઇ રહી છે..? તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર