મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતભરમાં આગામી તા. ૬-૭ ડિસેમ્બરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ.

ગુજરાતભરમાં આગામી તા. ૬-૭ ડિસેમ્બરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”

ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના ૨૪૬ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.

તેમણે જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે.
 

સંબંધિત સમાચાર