અકોલા. મહારાષ્ટ્રના અકોલામાં 9મી એપ્રિલની રાત્રે જોરદાર તોફાન અને વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદ અને ભારે પવનને કારણે બાલાપુર તહસીલના પારસ ગામમાં એક મંદિરના શેડ પર લીમડાનું વિશાળ વૃક્ષ પડતાં સાત લોકોનાં મોત થયાં અને 30 લોકો ઘાયલ થયા. અકોલાના કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું હતું કે શેડ નીચે એક જૂનું ઝાડ પડ્યું ત્યારે લગભગ 40 લોકો હાજર હતા.
રવિવારે અકોલા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે અહીંના બાબુજી મહારાજ મંદિર સંસ્થાનના શેડ પર એક જૂનું લીમડાનું ઝાડ પડ્યું હતું.
માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને દટાયેલા લોકોને બહાર કાઢ્યા. વૃક્ષ અને શેડને ઉપાડવા માટે જેસીબી મશીનો તૈનાત કરાયા હતા. સ્થાનિક લોકોએ શેડ નીચે દટાયેલા લોકોને પણ બહાર કાઢ્યા હતા.
ટ્વીટર પર ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું, "અકોલા જિલ્લાના પારસમાં ધાર્મિક કાર્યક્રમ માટે શેડ પર ઝાડ પડતાં કેટલાક શ્રદ્ધાળુઓનું મૃત્યુ થયું તે દુઃખદાયક છે."
ફડણવીસે કહ્યું, "મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે."
કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું હતું કે, "36 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચારના મોત નિપજ્યા હતા."


