ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ – 2’ના અમલીકરણમાં આગેવાની લીધી છે. ઓએનજીસીએ આવા મુદ્દાઓના સમાધાન માટે આંતરિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
આ સ્કીમ હેઠળ સેટલમેન્ટના માપદંડોને જ્યાં 30 એપ્રિલ 2023ના રોજ અથવા તે પહેલાં કોર્ટનો આદેશ પસાર કરવામાં આવ્યો હોય તેમાં સ્કીમ હેઠળ ચોખ્ખી રકમના 85 ટકા, જ્યાં 31 જાન્યુઆરી, 2023ના રોજ અથવા તે પહેલાં આર્બિટ્રલ એવોર્ડ પસાર કરવામાં આવે તેમાં ચોખ્ખી રકમના 65 ટકા આપવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
વિવાદ સે વિશ્વાસ – 2 એ સરકાર દ્વારા પડતર કોન્ટ્રાક્ટના વિવાદોના સમાધાન માટે જાહેર કરાયેલી વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ છે. કોન્ટ્રાક્ટર્સે GeM પોર્ટલ દ્વારા પતાવટ માટે અરજી કરવાની રહેશે. આ સ્કીમ 15 જુલાઇથી 31 ઓક્ટોબર 2023 સુધી માન્ય છે.
ઊર્જા ક્ષેત્રે અગ્રણી ઓએનજીસીએ તેના બિઝનેસ પાર્ટનર્સ સાથે મજબૂત અને પારદર્શક સંબંધો સ્થાપિત કરવા માટે ઘણી નવીન પહેલ કરી છે. ઓએનજીસી ભારતમાં પ્રથમ છે કે જેણે વર્ષ 2005માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા ઇન્ટિગ્રિટી પેક્ટ (આઇપી) અપનાવ્યું હતું. તાજેતરમાં ઓએનજીસી મેસર્સ ઇન્ટરસેર્ટ, યુએસએ દ્વારા એન્ટી-બ્રાઇબરી મેનેજમેન્ટ સિસ્ટમ (એબીએમએસ) માટે પ્રમાણિત થનારી પ્રથમ ભારતીય પીએસયુ બન્યું છે.


