પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 30મી અને 31મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછીની તારીખે સરદાર પટેલજીનો જન્મ દિવસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આપણી પેઢીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો છે." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગોવિંદ ગુરુજીનું જીવન ભારતની આઝાદીમાં આદિવાસી સમાજનાં પ્રદાન અને બલિદાનનું પણ પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વર્ષોથી સરકારે માનગઢ ધામનું મહત્ત્વ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા દેવી અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આજની પરિયોજનાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 6000 કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન ભગવાન અંબેના આશીર્વાદથી કરવામાં આવ્યું છે.