વિરમગામ : ઘણી વખત તમે સાંભળ્યું હશે કે તેણે શેર બજારમાં રોકાણ કર્યું અને થોડા દિવસોમાં જ મોટું આર્થિક નુકસાન ગયું. આવું થવાનું મુખ્ય કારણ શેરમાર્કેટ વિશેની અપુરતી માહિતી અને આંધળું અનુકરણ કરીને કરેલું રોકાણ હોય છે. અંતે મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે.
રોકાણકારોને શેર બજાર સહિતના મુદ્દે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર વિરમગામના કેસર હોટલ ખાતે બી.એસ.ઇ, સેબી દ્વારા રીજનલ ઈન્વેસ્ટર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર, ઉદ્યોગપતિ, શિક્ષક, વેપારી સહિતના ઇન્વેસ્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બી.એસ.ઇ. ના સિનિયર એક્ઝિક્યુટિવ મહેશ પંડ્યા દ્વારા નવા રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતા પહેલા કેવું પ્લાનિંગ અને રિસર્ચ કરવું જોઈએ તથા કોઈનું આંધળું અનુકરણ કરીને શેર બજારમાં રોકાણ ન કરવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શેરબજાર કેવા સંજોગોમાં ઉપર નીચે જઈ શકે છે તે વિશેની માહિતી અને ઉતાર ચડાવથી બચવા માટે લાંબા ગાળાનું રોકાણ કરવા સલાહ આપવામાં આવી હતી. તેમના દ્વારા સેમિનારના અંતે ઇન્વેસ્ટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. વિરમગામના એસ.કે ઇન્વેસ્ટમેન્ટના કૃષ્ણકાંત ઠાકોર દ્વારા સમગ્ર સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું અને શેર માર્કેટમાં રોકાણ કરનારા ઇન્વેસ્ટરોને રિસર્ચ સાથે રિસ્ક લઈને રોકાણ કરવા અને રોકાણ કર્યા બાદ ધીરજ રાખવા માટે જણાવ્યું હતું.