મુખ્ય સામગ્રી પર જાઓ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ

જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ

અમદાવાદ/નર્મદા/ગુજરાત : જે પી ગ્રુપના 182 કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી હડતાલ પર હતા અને આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કર્મચારીઓની માંગણીઓ મુદ્દે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને મેનેજમેન્ટે સાતમાંથી છ માંગણીઓને તાત્કાલિક અસરથી માની છે અને પગાર વધારવાની છેલ્લી માંગણી ઝડપથી અમલમાં મુકાશે તેવી ખાતરી આપી છે. આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30-35 વર્ષથી લોકો પોતાની સેવા આપતા હતા, એ તમામ લોકો લેન્ડ લુઝર છે, જે લોકોની જમીનો સરદાર સરોવર યોજનામાં ગઈ છે. આ લોકોએ પોતાની સાત જેટલી માંગણીઓને લઈને અનેક વાર જે પી ગ્રુપના મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરી હતી પરંતુ તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા તેમણે છેલ્લો નિર્ણય લીધો કે તેઓ હડતાલ કરશે. 17 જાન્યુઆરીથી તેઓ હડતાલ પર છે અને એ દિવસે અમે પણ મુલાકાત લીધી હતી. બીજા દિવસે અમે પણ મેનેજમેન્ટ સાથે વાત કરી પરંતુ જે પી ગ્રુપ દ્વારા મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવ્યો અને આ આંદોલન આગળ વધ્યું. આ 182 કર્મચારીઓના આંદોલનને 15 દિવસથી વધારે સમય થયો અને આજે ફરી એકવાર મેનેજમેન્ટ સાથે અમે બેઠા અને સાત માંગણીઓમાંથી છ માંગણીઓ મેનેજમેન્ટે આજે સ્વીકારી લીધી છે અને જે સાતમી માંગણી પગાર વધારવાની હતી તેના માટે હાલ પૂરતા તેમણે 62 લોકોની યાદી બનાવી છે અને એ 62 લોકોને પ્રમોશનના ભાગરૂપે ઉપર લઈ જવાના છે અને બીજા 20 થી 25 લોકોને અપગ્રેડેશન આપવાના છે.

ધારાસભ્ય  ચૈતર વસાવાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મેનેજમેન્ટે કહ્યું છે કે પહેલી એપ્રિલથી તમામ કર્મચારીઓને તેમના કામના પ્રકાર પ્રમાણે અને સિનિયોરિટી પ્રમાણે પગાર વધારો કરી આપવામાં આવશે. સાથે જ જે પી કંપનીએ સરદાર સરોવર નિગમ સાથે રહીને પોતાના લેટર હેડ પર લેખિત બાંહેધરી આપી છે. માટે આંદોલનનું સુખદ નિરાકરણ આવ્યું એવું અમે માનીએ છીએ. સાથે સાથે મેં મેનેજમેન્ટને વિનંતી કરી છે કે જેટલા પણ દિવસો આ લોકો ધરણા પર હતા એટલા દિવસોનો આ લોકોને પગાર નહીં કપાય, તો મેનેજમેન્ટ એ પગાર વહેલો મોડો જમા કરવાની ખાતરી આપી છે. આંદોલનમાં જે પણ લોકોએ સહકાર આપ્યો એ તમામ લોકોનો આભાર માનીએ છીએ. જે કર્મચારીઓએ ધૈર્ય રાખીને આંદોલનને આગળ વધાર્યું એ તમામ કર્મચારીઓને પણ અભિનંદન આપીએ છીએ. અપેક્ષા રાખીએ છીએ કે મેનેજમેન્ટ આ કર્મચારીઓ સાથે પરિવારની જેમ વર્તે અને કર્મચારીઓ પણ નિષ્ઠા સાથે કામ કરે. અહીંયા આ ધરણાના કાર્યક્રમને સુખદ અંત આપીએ છીએ.

સંબંધિત સમાચાર