રાજપીપલા : નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીની કચેરી ખાતે તા. ૨૪મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અને જિલ્લાકક્ષાનો સ્વાગત
કાર્યક્રમ તા.૨૬ મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારો પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો બે નકલોમાં પુરૂં નામ-સરનામું અને ટેલિફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે સંબંધિત કચેરીએ તા. ૧૦ મી ડિસેમ્બર-૨૦૨૪ના સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતો વાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.
કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહીં. વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી થયેલ ન હોય તથા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે.
આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ લખવાનું રહેશે.
સરકારી વિભાગોના તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રીની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.