અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે ચાંદીપુરા વાયરસ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો થયો છે, જેના કારણે પાંચ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. તંત્ર કહે છે કે તેઓ એલર્ટ છે. પણ આ તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ છે, કારણ કે ગઈ સાલ પણ દાહોદ બનાસકાંઠાના આખા પટ્ટામાં આ વાયરસ ફેલાયો હતો અને અનેક નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે તમે માત્ર દેખાડો કરી રહ્યા છો, કારણ કે ગત વર્ષથી કંઈ શીખ્યા હોત તો આ વખતે આવી પરિસ્થિતિ પેદા ન થાત. તમને ખ્યાલ છે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ દરમિયાન આ વાયરસ ફેલાય છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અંતરિયાળ વિસ્તારના આરોગ્ય વિભાગને અમે તાકીદ કરવા માંગીએ છીએ કે કડક ગાઈડલાઇનને ફોલો કરવામાં આવે અને તાત્કાલિક પગલા ભરવામાં આવે, જેથી આ ચાંદીપુરા વાયરસને નાથી શકાય. જો હજુ પણ કડક પગલાં ભરવામાં નહીં આવે તો આ વાયરસ વધુ ફેલાઈ શકે છે. મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવને અપીલ કરવા માંગીએ છીએ કે આ ચાંદીપુરા વાયરસ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, તો આ મુદ્દે તાત્કાલિક પગલા ભરવામાં આવે.
આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ ડાભી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના કારણે છેલ્લા 11 દિવસમાં અનેક દુઃખદ ઘટના ઘટી છે. ગઈકાલે હિંમતનગર સિવિલ ખાતે ત્રણ બાળકોના મોત થયા હતા, જ્યારે આજે પોશીના તાલુકાના વધુ એક બાળકનું મોત થયું છે. આ વાયરસ મુદ્દે સાબરકાંઠાના આરોગ્ય વિભાગને મારી અપીલ છે કે આ વાયરસ મુદ્દે દરેક ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે, સાથે સાથે ગામડાઓમાં સર્વે પણ કરવામાં આવે. અધિકારીઓ પોતાનું કામ કરશે પરંતુ લોકોને પણ સાવચેતી રાખવાની જરૂરત છે. જિલ્લા કક્ષાના તબીબી અધિકારીને અપીલ છે કે આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને દરેક ગામડાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં તથા તંત્રને જગાડવામાં આવે જેથી આ વાયરસથી બાળકોને બચાવી શકાય.
આમ આદમી પાર્ટી ગુજરાત