રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારમાં અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત રહે છે. કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલના ૧૪,૮૮૭; મેડિકલ સપ્લાયના ૨૯૦૬; સર્જીકલના ૨૨,૨૨૪; ગાયનેકોલોજીકલના ૨૪૯ અને અન્ય ૩૩૧૭ કેસ સહિત કુલ ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.
તા. ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ વાઘોડિયા રેન્જના કુમેઠા ગામે રાષ્ટ્રીય પક્ષી એવા મોરને એક શ્વાન દ્વારા બચકું ભરી લેવામાં આવ્યું હતું. જાણકારી મળતા જ સ્થાનિક વન રક્ષક રૂપલબેન પ્રજાપતિએ ૧૯૬૨ પર ફોન કરીને જાણ કરી હતી. શ્વાનના બચકાના કારણે ઘા એટલો ઊંડો હતો કે, મોરનું હૃદય દેખાતું હતું. ફોન પર માહિતી મળતા જ વડોદરા કરુણા એમ્બ્યુલન્સના ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જંગલ ખાતા દ્વારા કરુણાની ટીમને મોરને સોંપવામાં આવ્યા બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત મોરની ત્યાં જ સર્જરી કરવામાં આવી હતી. જેમાં મોરને ૩૨ (બત્રીસ) ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોરને સહી સલામત રીતે ડ્રેસિંગ કરીને જંગલ ખાતાને સોંપવામાં આવ્યો હતો. આ ઘા એટલો ઊંડો હતો કે સર્જરી કરવી મુશ્કેલ હતી. પરંતુ કરુણા એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક સર્જરી કરતા મોર હાલ સામાન્ય સ્થિતિમાં છે. મોરનું સતત ફોલો અપ લેવામાં આવી રહ્યું છે અને તે હાલ સારવાર હેઠળ છે. રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવવો એ ગૌરવની લાગણી છે.