મણિપુરમાં જાતિય હિંસા અટકતી દેખાતી નથી. ગુરુવારે 5 યુવકોની ધરપકડને લઈને ભીડે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોની બિનશરતી મુક્તિની માગણી કરતા ટોળાએ ઇમ્ફાલ પૂર્વના પોરોમપટ પોલીસ સ્ટેશન અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઇ પોલીસ સ્ટેશન અને ક્વાકિથેલ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 16 સપ્ટેમ્બરે પાંચ છોકરાઓની ધરપકડ બાદથી ઇમ્ફાલમાં સ્થિતિ તંગ બની છે.
સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા
સુરક્ષા દળોએ ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. પોલીસ સાથે અથડામણની ઘટનાઓ પછી, રાજ્ય સરકારે ઇમ્ફાલના બંને જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટ રદ કરી છે.
પાંચ છોકરાઓને બિનશરતી મુક્ત કરવાની માંગ
પાંચ છોકરાઓની ધરપકડના વિરોધમાં ખીણ વિસ્તારોમાં વ્યાપક દેખાવો થયા હતા. પાંચ છોકરાઓની બિનશરતી મુક્તિની માંગ સાથે સ્થાનિક લોકોએ મંગળવારથી ખીણમાં 48 કલાકનું લોકડાઉન લાદી દીધું હતું. સોમવારે અનૌપચારિક હડતાળ પડી હતી. અધિકારીઓએ એમ પણ કહ્યું કે ટોળાને છ સ્થાનિક ક્લબો અને મીરા પાબીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે મણિપુર પોલીસે અત્યાધુનિક હથિયાર રાખવા અને નકલી યુનિફોર્મ પહેરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ બાદ નિવેદન પણ બહાર પાડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પાંચેયને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
મણિપુરમાં 3 મેથી જાતિય હિંસા થઈ રહી છે, જેમાં 150થી વધુ લોકોના મોત થયા છે.


